
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારના રોજ એશિયા કપ 2025ની મેચ રમાશે. આ મેચમાં ભારતીય ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત બંન્ને ટીમ એકબીજાની વિરુદ્ધ રમતી જોવા મળશે. સોશિયલ મીડિયા પર આનો વિરોધ પણ થઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન બંન્ને ટીમે પોતાના અભિયાનની શરુઆત જીત સાથે કરી છે.હવે બંને ટીમો વચ્ચેની આ મેચમાં બધાની નજર હવામાન પર પણ રહેશે.
એશિયા કપમાં ભારતનું પાકિસ્તાન સામે પલડું ભારે છે. બંન્ને ટીમે અત્યારસુધી કુલ 19 મેચ રમી છે. જેમાં 10 મેચમાં ભારતે જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાને માત્ર 6 મેચમાં જીત મેળવી છે.ત્રણ મેચ અનિર્ણિત રહી છે. ભારતીય ટીમની જીત રવિવારે પાક્કી માનવામાં આવી રહી છે.
AccuWeatherના અહેવાલ મુજબ, 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં અત્યંત ગરમી અને ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. દિવસનું મહત્તમ તાપમાન 39°C સુધી પહોંચવાની શક્યતા છે, પરંતુ ભેજને કારણે તે 44°C જેટલું અનુભવાશે.ખેલાડીઓને આ ગરમીથી કોઈ રાહત મળશે નહી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના મેદાન પર રમાનારી આ મેચમાં વરસાદની કોઈ શક્યતા જોવા મળી નથી. એટલે કે, બંન્ને ટીમના ખેલાડીઓએ ભીષણ ગરમીનો સામનો કરવો પડશે.આવી સ્થિતિમાં ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ આજે થશે કે તેઓ આ ગરમીમાં પોતાને સંપૂર્ણપણે ફિટ રાખી શકે છે કે નહીં.
જો વરસાદ થયો તો બંન્ને ટીમ પર શું અસર પડશે
રિપોર્ટ મુજબ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ જો વરસાદ આવ્યો તો મેચ રદ્દ કરવામાં આવી શકે છે. ત્યારે બંન્ને ટીમને 1-1 અંક આપવામાં આવશે, આવી સ્થિતિમાં બંન્ને ટીમ પોતાની છેલ્લી મેચ જીતી સુપર4માં ક્વોલિફાય કરી શકે છે. જો મેચ રમાઈ છે તો જીતનારી ટીમ સુપર 4 માટે ક્વોલિફાય સરળ રહેશે. ભારતની છેલ્લી મેચ ઓમાન સામે છે તો પાકિસ્તાનની છેલ્લી મેચ યુએઈ વિરુદ્ધ રમવાની છે.