એશિયા કપ 2022 (Asia Cup 2022) માટે ભારતીય ટીમ (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) જેવા ક્રિકેટરો 15 સભ્યોની ટીમમાં પરત ફર્યા છે. બીજી તરફ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને હર્ષલ પટેલ (Harshal Patel) ઈજાના કારણે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. બુમરાહનું બહાર નીકળવું એક મોટો આંચકો છે કારણ કે તે ભારતીય બોલિંગ યુનિટનો જીવ છે.
ખાસ વાત એ છે કે ત્રણ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar), અવેશ ખાન (Avesh Khan) અને અર્શદીપ સિંહ (Arshdeep Singh) ને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. જે એક આશ્ચર્યજનક નિર્ણય છે. જો આ ત્રણમાંથી કોઈને ઈજા થાય છે તો ભારતીય ટીમની મુશ્કેલી વધી શકે છે. ભુવનેશ્વર કુમાર ઘણો અનુભવી છે પરંતુ અર્શદીપ અને અવેશ ખાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ નથી. અવેશ ખાનને પસંદ કરવાનું આશ્ચર્યજનક હતું. કારણ કે તે હજી વધુ કઇ ખાસ પ્રભાવિત કરી શક્યો નથી. અવશે વિન્ડીઝ સામેની તાજેતરની T20 શ્રેણીમાં 10થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા.
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા (Akash Chopra) પણ પસંદગીકારોના માત્ર ત્રણ ઝડપી બોલરોને સામેલ કરવાના નિર્ણયથી આશ્ચર્યચકિત છે. આકાશ ચોપરાએ લખ્યું, ‘ટીમમાં માત્ર ત્રણ ફાસ્ટ બોલર છે. તે મારી એકમાત્ર ચિંતા છે.’
ભારતે તેની મેચ દુબઈમાં રમવાની છે. જે અગાઉ સ્પિન માટે મદદરૂપ હતી. પરંતુ સમયની સાથે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને હવે આ વિકેટ ઝડપી બોલરોને પણ અનુકૂળ આવે છે. જો કે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનો હોવાને કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરોને વધુ મદદ કરશે.
ભારતીય પસંદગીકારોએ ચાર સ્પિન બોલરો રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપ્યું છે. આ સાથે દીપક હુડ્ડા સ્પિન બોલિંગમાં પણ નિષ્ણાત છે. ભારતીય પસંદગીકારોએ UAE ની પરંપરાગત સ્પિનિંગ સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાસ્ટ બોલરો કરતાં વધુ સ્પિનરો પસંદ કરવાનો નિર્ણય લીધો હશે. પરંતુ ચાર સ્પિન બોલરોને સામેલ કરવાનું આ જોખમ પણ ભારે પડી શકે છે.
UAE માં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં 6 ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. તો છઠ્ઠી અને અંતિમ ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પછી નક્કી કરવામાં આવશે. ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ 20 ઓગસ્ટથી શરૂ થશે. ભારત 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે.
રોહિત શર્મા (સુકાની), કેએલ રાહુલ (ઉપ સુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.