Asia Cup 2022: એશિયા કપ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ ટૂર્નામેન્ટથી બહાર!
UAEમાં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. આ પહેલા જ ભારતીય ટીમ (Team India) ને લઈ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને લઈ સમાચાર સામે આવવા લાગ્યા છે
એશિયા કપ (Asia Cup 2022) ની શરૂઆત પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે લગભગ બહાર થઈ ગયો છે. UAEમાં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારત (Indian Cricket Team) પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. આ મેચના 20 દિવસ પહેલા ભારતને આ ખરાબ સમાચાર મળ્યા છે. ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર, બુમરાહ પીઠની ઈજાથી પરેશાન છે, જેના કારણે પસંદગીકારોને ટેન્શન વધી ગયું છે.
બુમરાહની ઈજા અંગે હજુ સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એ નિશ્ચિત છે કે આ ટૂર્નામેન્ટ માટે દિગ્ગજ ભારતીય ઝડપી બોલરની પસંદગી કરવામાં આવશે નહીં. સમાચાર એજન્સી પીટીઆઈએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતીય પસંદગીકારો ટી-20 વર્લ્ડ કપને કારણે બુમરાહને લઈને કોઈ જોખમ લેવા માંગતા નથી અને તેથી જ તેને આ ટૂર્નામેન્ટમાં પસંદ કરવામાં આવશે નહીં.
બોર્ડના અધિકારીએ કહ્યુ, તે નહીં રમે
UAEમાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગી સોમવારે 8 ઓગસ્ટના રોજ થવાની હતી, પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. રિપોર્ટ અનુસાર, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જસપ્રીત બુમરાહને પીઠમાં ઈજા છે અને તે એશિયા કપમાં નહીં રમે. તે અમારો મુખ્ય બોલર છે અને અમે ઈચ્છીએ છીએ કે તે T20 વર્લ્ડ કપ પહેલા તેની ગતિ પાછી મેળવે. અમે તેને એશિયા કપની ટીમમાં સામેલ કરીને જોખમ લેવા માંગતા નથી, તેનાથી તેની ઈજા વધુ ખરાબ થઈ શકે છે.
જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં કોને સ્થાન મળશે, હવે મોટાભાગની નજર આ સવાલ પર છે. ટીમ ઈન્ડિયાની સામે અર્શદીપ સિંહ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા અને દીપક ચહરનો વિકલ્પ છે. આમાં અર્શદીપ અને અવેશનો દાવો વધુ મજબૂત છે.
જસપ્રીત બુમરાહનુ કરીયર
અમદાવાદમાં જન્મેલા જસપ્રીત બુમરાહ રાઈટ આર્મ ફાસ્ટ બોલર છે. ક્યારેક ક્યારેક બેટથી પણ તે કમાલ કરી ચુક્યો છે. વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા સામે વન ડે અને ટી20 ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર જસપ્રીત બુમરાહ વર્તમાન સમયમાં ભારતીય ટીમનુ મુખ્ય હથીયાર બની ચુક્યો છે. તે 70 વન ડે અને 57 ટી20 મેચ ભારતીય ક્રિકેટ ટીમ વતીથી રમી ચુક્યો છે. જ્યારે 30 ટેસ્ટ મેચોનો હિસ્સો રહ્યો છે. બુમરાહે ટી20 ફોર્મેટમાં 67 વિકેટ ઝડપી છે, જ્યારે વન ડેમાં 119 અને ટેસ્ટ ક્રિકેટમાં 128 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં 8 વાર તે 5 વિકેટ હોલ ઝડપી ચૂક્યો છે. આવો કમાલ વન ડેમાં બે વાર નોંધાવ્યો છે.