ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન અંબાતી રાયડુ (Ambati Rayudu) એ જાહેરાત કરી હતી કે તે આ IPL સિઝન પછી આ ટુર્નામેન્ટમાંથી નિવૃત્તિ લેશે પરંતુ 10 મિનિટ પછી તેણે તેના શબ્દો પલટાવ્યા. અંબાતી રાયડુએ ટ્વીટ કર્યું કે આ તેની છેલ્લી IPL હશે. તેણે 13 વર્ષની આ સફરને શ્રેષ્ઠ ગણાવી હતી. રાયડુની આ જાહેરાત બાદ આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા પરંતુ થોડી જ વારમાં રાયડુએ આ ટ્વીટ ડિલીટ કરી દીધી. રાયડુનું ટ્વીટ ડિલીટ થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે અંબાતી રાયડુ સંન્યાસ લઈ રહ્યો નથી.
અંબાતી રાયડુએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘હું ખુશી સાથે આની જાહેરાત કરું છું, આ મારી છેલ્લી IPL હશે. હું છેલ્લા 13 વર્ષમાં બે મહાન ટીમો સાથે રહ્યો છું. હું આ અદ્ભુત પ્રવાસ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો આભાર માનું છું.
અંબાતી રાયડુની નિવૃત્તિની ઘોષણાનું ટ્વિટ અને પછી તેને ડિલીટ કરવું ઘણા પ્રશ્નો ઉભા કરે છે. પહેલો સવાલ એ છે કે શું ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાયડુ વચ્ચે બધુ બરાબર છે? કારણ કે ચેન્નાઈ કેમ્પ છોડીને રવિન્દ્ર જાડેજા પણ ચાલ્યો ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ મેનેજમેન્ટથી નારાજ છે. હવે રાયડુએ નિવૃત્તિ અંગે ટ્વિટ કર્યું અને પછી તેને હટાવી દીધું. આ પછી, CSK CEO કાશી વિશ્વનાથને નિવૃત્તિના સમાચારને ખોટા ગણાવ્યા. તેથી અહીં કંઈક ગરબડ લાગી રહી છે.
IPL 2022માં ભલે અંબાતી રાયડુને ચેન્નાઈ સુપર કિંગ્સે રિટેન ન કર્યો, પરંતુ હરાજીમાં ટીમે આ ખેલાડીને 6.75 કરોડની મોટી કિંમતે ખરીદ્યો. રાયડુએ 10 ઇનિંગ્સમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 124 હતો.
રાયડુએ અત્યાર સુધી 187 IPL મેચોમાં 29.28ની એવરેજથી 4187 રન બનાવ્યા છે. તેના બેટમાંથી એક સદી અને 22 અડધી સદી નીકળી છે. વર્ષ 2018માં તેનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. આ ખેલાડીએ 16 મેચમાં 43ની એવરેજથી 602 રન બનાવ્યા અને ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજી વખત આઈપીએલ ટાઈટલ જીતવામાં મદદ કરી.
તમને જણાવી દઈએ કે અંબાતી રાયડુએ પાંચ વખત IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જમણા હાથના બેટ્સમેને મુંબઈ સાથે ત્રણ વખત અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે બે વખત આઈપીએલ ટ્રોફી જીતી છે.
Published On - 2:26 pm, Sat, 14 May 22