CWG 2022: ભારતીય રિલે ટીમમાં મોટો ફેરફાર, મોહમ્મદ અનસ યાહિયાને મળ્યું સ્થાન, જાણો કારણ
ભારતીય એથ્લેટિક્સ ટીમને કોમનવેલ્થ ગેમ્સ 2022ની (Commonwealth Games 2022) શરૂઆત પહેલા અલગ-અલગ કારણોથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેમાં ખેલાડીઓની વધતી જતી ઈજા મોટી સમસ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022ની (Commonwealth Games 2022) શરૂઆત પહેલા ભારતીય એથ્લેટિક્સ સતત મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. ડોપિંગના કારણે અત્યાર સુધીમાં 5 ભારતીય ખેલાડીઓને ગેમ્સમાંથી બહાર થવું પડ્યું છે. તેની અસર ભારતની તૈયારીઓ પર પડી છે. હવે વધુ એક ઝટકો ઈજાના રૂપમાં સામે આવ્યો છે. પુરુષોની 4 x 400 મીટર રિલે ટીમનો એક સભ્ય ઈજાને કારણે બહાર થઈ ગયો છે. આવી પરિસ્થિતીમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ (Athletics Federation Of India) ઈમરજન્સી સ્ટાર રેસર મોહમ્મદ અનસ યાહિયાને આ ટીમમાં સામેલ કર્યો છે.
AFIએ બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે રિલે ટીમના સભ્ય રાજેશ રમેશને ઈજા થઈ છે, જેના કારણે તે તેનો ભાગ બની શકશે નહીં. પરંતુ ફેડરેશને સ્પષ્ટ કર્યું હતું કે ઈજા બહુ ગંભીર નથી. ફેડરેશનના અધ્યક્ષ આદિલ સુમરિવાલાએ કહ્યું, 4 x 400 મીટર પુરૂષોની રિલે ટીમમાં અમે ટીમમાં રાજેશ રમેશની જગ્યાએ મોહમ્મદ અનસનો સમાવેશ કર્યો છે. રાજેશ રમેશને નાની ઈજા થઈ છે અને તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી.
6 ખેલાડીઓ ડોપમાં ફેલ
નીરજ ઈજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો. તેના સિવાય 6 ભારતીય ખેલાડીઓ ડોપિંગને કારણે બહાર થઈ ગયા છે. તેમાં દોડવીર ધનલક્ષ્મી, ટ્રિપલ જમ્પ નેશનલ રેકોર્ડ હોલ્ડર ઐશ્વર્યા બાબુ, શોટપુટની IF1 કેટેગરીમાં અનીશ કુમાર, પાવરલિફ્ટર ગીતા અને ભારતીય રિલે ટીમના 2 સભ્યો સામેલ છે.
2 ક્રિકેટરો કોરોનાની ઝપેટમાં
ભારતને ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ રમવાની છે અને આ મેચ પહેલા ભારતને 2 ઝટકા લાગ્યા છે. ટીમ ઈન્ડિયા રવિવારે સવારે બર્મિંગહામ જવા રવાના થઈ હતી, પરંતુ પૂજા અને મેઘના ટીમનો સાથ આપી શક્યા ન હતા. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પહેલા એક જ સભ્યના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે પૂજા વસ્ત્રાકર અને મેઘના કોરોનાની ઝપેટમાં આવી છે અને બંને ભારતમાં છે.
ઓસ્ટ્રેલિયા બાદ પાકિસ્તાન સામે મેચ
બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે બંને ખેલાડીઓ ત્યારે જ ટીમ સાથે જોડાઈ શકે છે, જ્યારે બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે. બંને ખેલાડીઓ પહેલી મેચમાં રમે તેવી શક્યતા પણ નથી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચ 3 ઓગસ્ટે રમશે. કોમનવેલ્થ ગેમ્સમાં ઉતરતા પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે અમે આને લઈને ઉત્સુક છીએ. અમને વારંવાર તેનો અનુભવ કરવાની તક મળતી નથી. ઓપનિંગ સેરેમની અમારા બધા માટે ખાસ બનશે.