ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડીઓ હાલમાં આઇપીએલ 2021 સસ્પેન્ડ થવાને લઇને ઘરે છે. જોકે તેના બાદ તેમણે ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) ખેડવાનો છે, જ્યાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ઉપરાંત ઇંગ્લેંડ થી તેણે પાંચ ટેસ્ટ મેચ પણ રમવાની છે. આ દરમ્યાન ટીમ ઇન્ડીયાને એક અન્ય સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યુ હતુ કે, જુલાઇમાં ભારતીય ટીમ (Indian Team) શ્રીલંકાના પ્રવાસે જવાની યોજના છે. જે પ્રવાસ પર ત્રણ વન ડે અને પાંચ T20 મેચ રમાશે.
સૌરવ ગાંગુલીએ એક સ્પોર્ટસ મિડીયા સંસ્થા સાથે કરેલી વાતચિત મુજબ ભારતે ત્રણ વન ડે અને પાંચ T20 મેચ માટે શ્રીલંકા જવાનુ છે. જે પ્રવાસ જુલાઇમાં થવાની સંભાવના છે. જોકે તે અંગે હાલમાં કોઇ શિડ્યુલ સામે આવ્યુ નથી. હવે અહીં એક વાત એ પણ છે કે, ભારતીય ટીમ જૂન મહિનામાં ઇંગ્લેંડ પ્રવાસ પર હશે. તો શ્રીલંકા માટે ટીમ ઇન્ડીયા પરત ભારત આવશે અને અહીં થી શ્રીલંકા જશે ? શુ તે શ્રીલંકા પ્રવાસ બાદ ફરી થી ઇંગ્લેંડ જશે જ્યાં ઓગષ્ટમાં તેણે પાંચ ટેસ્ટ ની સિરીઝ રમવાની છે. જો એમ થશે તો પસંદગીકારોએ અત્યાર થી જ ઇંગ્લેંડ પ્રવાસ માટે ટીમ ઇન્ડીયાનુ એલાન કેમ કર્યુ. આમ પણ ભારત ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં ઓછામાં ઓછા ત્રણેક મહીના છે.
વર્ષ ભર વ્યસ્ત રહેશે ભારતીય ટીમ
ભારતીય ખેલાડીઓ કોરોના કાળમાં લગાતાર ક્રિકેટ રમી રહ્યા છે. નવેમ્બર થી જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલીયા પ્રવાસ. ત્યાર બાદ જાન્યુઆરી થી માર્ચ સુધી ઇંગ્લેંડ સામેની સિરીઝ. ત્યાર બાદ આઇપીએલ શરુ થઇ હતી. હવે જૂન મહીનામાં ઇંગ્લેંડ પ્રવાસ કરશે. વર્ષના અંતના મહિનાઓમાં પણ ટીમ ઇન્ડીયાએ ખૂબ ક્રિકેટ રમવાની છે. જેમાં ટી20 વિશ્વકપ ઉપરાંત દક્ષિણ આફ્રિકા સામે પણ સિરીઝ પ્રસ્તાવિત છે. સાથે જ ન્યુઝીલેન્ડ પણ ભારત પ્રવાસે આવશે. આ ઉપરાંત આઇપીએલ 2021 ની બાકી મેચોનુ આયોજન પર પણ કામ શરુ થયુ છે.