
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનો કાર્યકાળ સપ્ટેમ્બર 2026માં સમાપ્ત થાય છે અને એવું માનવામાં આવતું હતું કે તેને 2027 ODI વર્લ્ડ કપ સુધી એક્સટેન્શન આપવામાં આવશે. જો કે તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસની બીજી ODI પહેલા જ રોહિતની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. સૂત્રો અનુસાર, તાજેતરમાં રોહિત શર્માના ભવિષ્યને લઈને થયેલા વિવાદ બાદ હવે અજીત અગરકરની ખુરશી જોખમમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ જ વર્ષે જૂનમાં અગરકરનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. પરંતુ BCCIએ તેને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. શરૂઆતમાં તેનો કાર્યકાળ જૂન 2027 સુધી લંબાવવાનો હતો. પરંતુ હવે BCCIના કેટલાક અધિકારીઓ ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્રિકેટ’ના વડા VVS લક્ષ્મણને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવાનું વિચારી રહ્યા છે. જોકે, આ દરખાસ્ત હજુ પણ વિચારણા હેઠળ છે અને સપ્ટેમ્બરમાં યોજાનારી BCCIની વાર્ષિક સામાન્ય સભામાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. BCCIના અધિકારીઓને વિશ્વાસ છે કે લક્ષ્મણના મંતવ્યોને વધુ મહત્વ આપવામાં આવશે અને રોહિત અને વિરાટ જેવા વરિષ્ઠ ખેલાડીઓ પણ તેની સલાહ સાંભળશે.
જુલાઈ 2023માં અગરકરને ભારતીય પુરુષ ટીમનો મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેના નેતૃત્વમાં, પસંદગી સમિતિએ ભારતીય ક્રિકેટ માટે ઘણા મોટા નિર્ણયો લીધા હતા અને આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયાએ બે T20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. જો કે છેલ્લા કેટલાક મહિનામાં પસંદગીના ઘણા નિર્ણયો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. BCCI હાલ વિચાર કરી રહ્યું છે કે અજિત આગરકરને વધુ એક વર્ષ માટે રાખવું કે પછી VVS લક્ષ્મણને મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સોંપવી. સૂત્રોના જણાવ્યા મુજબ, આગરકર પોતે પણ 2027ના વનડે વર્લ્ડ કપ સુધી આ પદ પર રહેવા ઇચ્છે છે. જોકે BCCIએ તેમને અત્યાર સુધી કોઈ સત્તાવાર ખાતરી આપી નથી.
VVS લક્ષ્મણ હાલમાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઑફ એક્સેલન્સમાં ક્રિકેટ વડા તરીકે કાર્યરત છે. તેમની જવાબદારીઓમાં યુવા ખેલાડીઓનો વિકાસ, અંડર-19 ટીમનું માર્ગદર્શન, કોચિંગ સ્ટ્રક્ચર, શૈક્ષણિક કાર્યક્રમો અને સ્પોર્ટ્સ સાયન્સ વિભાગ વચ્ચે સંકલન સામેલ છે. આ ઉપરાંત જ્યારે એકસાથે બે ભારતીય ટીમો અલગ-અલગ ટૂર્નામેન્ટમાં રમતી હોય છે ત્યારે તેઓ ઘણા પ્રસંગે ભારતીય ટીમના કાર્યકારી મુખ્ય કોચ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. જો BCCI VVS લક્ષ્મણને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરશે તો ભારતીય ક્રિકેટની પસંદગી પ્રણાલીમાં આ એક મોટો ફેરફાર માનવામાં આવશે.