Rajkot Political News: લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલઘામ (Khodal Dham)ના ચેરમેન એવા નરેશ પટેલના નિવેદન સમયાંતરે રાજકીય (Political) ચર્ચાઓનું કેન્દ્ર બને છે.પોતે સીધી રીતે કોઇ જ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી પરંતુ રાજકીય સોગઠા બાજીમાં જરૂર તેઓની ભુમિકા હોય છે અથવા તો ગોઠવવા માટે પ્રયત્ન કરે છે.
તાજેતરમાં ખોડલધામ ખાતે મળેલી લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકમાં નરેશ પટેલે આમ આદમી પાર્ટીનું પરોક્ષ રીતે સમર્થન કરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીઘો અને ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી.
જો કે દર વખતની જેમ આ વખતે પણ નરેશ પટેલે પોતાનું નિવેદન ગુજરાતના રાજકારણમાં તરતું મૂકીને પોતે રાજકારણથી દૂર રહેશે તેવો દાવો કર્યો. એક અહેવાલ પ્રમાણે નરેશ પટેલનો આમ આદમી પાર્ટી દ્રારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે કોઇ નક્કર જવાબ આપ્યો નથી.
2022માં AAPને મદદ કરશે નરેશ પટેલ
2022 પહેલા જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક્ટિવ થયું છે તેના કારણે એક સવાલ થાય કે શું નરેશ પટેલ 2022ની ચૂંટણીમાં આપને મદદ કરશે તો તેનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે અત્યાર સુધીમાં નરેશ પટેલ કોઇ જ રાજકીય પાર્ટીમાં સીધી રીતે જોડાયા નથી. પરોક્ષ રીતે તે રાજકીય પાર્ટીઓમાં સમયાંતરે ટિકીટ,હોદ્દાઓને લઇને ભલામણ જરૂર કરે છે પરંતુ તેઓ કોઇની સાથે આવ્યા નથી.
હાલમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજને એક તાંતણે બાંધવા માટે નરેશ પટેલ મથામણ કરી રહ્યા છે.પોલીટીકલ પંડિતો આ મથામણને 2022 પહેલાનું રાજકીય કાઉન્ટ ડાઉન માની રહ્યા છે પરંતુ નરેશ પટેલે એક વાત સ્પષ્ટ કરી છે કે જ્યાં સુધી ખોડલઘામના પ્રમુખ તરીકે જોડાયેલા છે ત્યાં સુધી કોઇ રાજકીય પાર્ટી સાથે નહિ જોડાય.
પાટીદાર નેતૃત્વને લઇને ઉભા કરે છે સરકાર પર સવાલ
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ હંમેશા પાટીદાર નેતૃત્વને લઇને સવાલો ઉભા કરે છે. તાજેતરમાં ત્રણ જેટલી સામાજિક બેઠક કરી હતી જેમાં તેઓનો સરકાર વિરુધ્ધનો સૂર જોવા મળ્યો હતો.પ્રથમ બેઠક ખોડલધામ કરી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના લેઉવા પટેલ સમાજના આગેવાનોને સાથે રાખ્યા હતા જેમાં સરકારમાં લેઉવા પટેલ સમાજને પ્રભુત્વ ન મળતું હોવાનો સૂર ઉઠાવ્યો હતો.
આ બાદ નરેશ પટેલે ઉંઝા ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજ સાથે બેઠક કરી હતી જેમાં પાટીદાર અધિકારીઓના પોસ્ટીંગને લઇને સવાલો ઉભા કર્યા હતા.અને હવે કાગવડ ખાતે મળેલી બેઠકમાં પણ પાટીદાર મુખ્યમંત્રી હોવાની વાત કરી સાથે સાથે આમ આદમી પાર્ટીના વખાણ કર્યા જે ખૂબ સૂચક છે..
2017માં પુત્રએ કોંગ્રેસ,પિતાએ બંન્ને પાર્ટીને સાચવવાનો પ્રયાસ કર્યો
વર્ષ 2017ની ચૂંટણીમાં નરેશ પટેલ દહીં અને દૂઘ બંન્નેમાં પગ રાખતા જોવા મળ્યા હતા.નરેશ પટેલે ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બંન્નેના નેતાઓ સાથે બેઠક કરી હતી અને જરૂરી મદદ પણ કરી હતી,તો પાટીદાર અનામત આંદોલનકારી અને હાલના કોંગ્રેસના કાર્યકારી અઘ્યક્ષ હાર્દિક પટેલ સાથે પણ અનેક બેઠકો કરી હતી. ટૂંકમાં રાજકીય અખાડામાં કોઇ સાથે સ્પષ્ટ રીતે નહિ પરંતુ અંદરખાને દરેક પાર્ટીને સાચવવાનો પ્રયાસ કર્યો હતો.
તો તેના પુત્ર શિવરાજ પટેલે રાજકોટ પૂર્વ,રાજકોટ દક્ષિણ અને જેતપૂર બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા.નવાઇની વાત તો એ છે કે આ ત્રણેય બેઠક પર ખોડલધામના ટ્ર્સ્ટીઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે વ્યક્તિગત સબંધોનું બ્હાનું આગળ ધરીને નરેશ પટેલના પુત્રએ પ્રચાર કર્યો.