PM મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, આ વર્ષે PMO છોડનારા બીજા અધિકારી
ત્રણ દાયકાની પોતાની કારકિર્દીમાં, તેમણે શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતાં. આ સાથે, તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય), રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને મનરેગા જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો પણ હીસ્સો રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના સલાહકાર અમરજીત સિન્હા (Amarjeet Sinha)એ સોમવારે રાજીનામું આપ્યુ હતું. જોકે આ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. અમરજીત સિન્હા બિહાર કેડરના 1983 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ સામાજિક ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ સંભાળતા હતા. તેમનો કાર્યકાળ બે વર્ષનો હતો.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર વડાપ્રધાન કાર્યાલય (PMO)ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે સિન્હાના રાજીનામાની પુષ્ટિ કરી છે. તેમના રાજીનામાનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. આ વર્ષે વડાપ્રધાન કાર્યાલયમાંથી આ બીજું મહત્વપુર્ણ રાજીનામું છે. આ પહેલા માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ પી કે સિન્હાએ પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
અમરજીત સિન્હાની અન્ય અધિકારી ભાસ્કર ખુલબે સાથે પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિમણુક કરવામાં આવી હતી. સિન્હા વર્ષ 2019માં ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતા. ત્રણ દાયકાની પોતાની કારકિર્દીમાં તેમણે શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. આ સાથે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય), રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને મનરેગા જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો પણ હીસ્સો રહ્યા હતા.
સિન્હા, દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ટોપર રહી ચુક્યા હતા અને ઓક્સફોર્ડ કેમ્બ્રિજ સોસાયટી સ્કોલરશીપ પણ મેળવી હતી, તેમનું વિદ્યાર્થી જીવન પ્રભાવી હતું. તેમણે ઘણા લેખો તેમજ ઘણા પુસ્તકો લખ્યા છે. શિક્ષણ અને જાહેર આરોગ્ય વિષય પર તેમની વિશેષ પકડ છે. તેમને બિહાર અને ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કામ કરવાનો અનુભવ પણ વધારે છે. તેમણે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે ભવિષ્યના અધિકારીઓ માટે ટ્રેનરનું પદ પણ સંભાળ્યું હતું.