Panchmahal : ગરબાડાના કોંગ્રેસ ધારાસભ્યનું વિવાદીત ભાષણ, જુઓ વીડિયો
Panchmahal : 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવાહડફ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ રાજકીય પક્ષોમાં મિટિંગોનો દોર શરૂ થયો છે. ત્યારે મોરવાહડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોરવા તાલુકાના ઉમરદેવી ખાતે કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી.
Panchmahal : 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવાહડફ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ રાજકીય પક્ષોમાં મિટિંગોનો દોર શરૂ થયો છે. ત્યારે મોરવાહડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોરવા તાલુકાના ઉમરદેવી ખાતે કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જાહેર મંચ ઉપરથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં દાહોદ જિલ્લાના ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં bjpના જીતેલા ઉમેદવારોના ઘર ઉપર પથ્થર મારવાની વાત કરી હતી.
કોંગ્રેસ દ્વારા આયોજિત આ બેઠકમાં હાજર દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકી વિવાદિત તેમણે નિવેદન આપ્યું હતું. ચંદ્રિકાબેન બારીયાએ જણાવ્યું કે ભાજપ વાળા જે-જે જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. બોગસ મતથી જીત્યા છે. મશીનથી જીત્યા છે. દારૂની પોટલીથી જીત્યા છે. પાંચસો ગ્રામ તેલથી જીત્યા છે. એ પાંચ વર્ષ નથી ચાલવાનુ સાથે સાથે પોતાને હરાવવા માટે જણાવ્યું કે મેં વિધાનસભામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે. મારા સામે મુખ્યમંત્રી કે ગણપત વસાવાને મુકવા પડે.
મોરવા હડફની પેટાચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને કવાયત તેજ બની છે. મોરવા હડફ વિધાનસભા બેઠક આદિવાસી ઉમેદવાર માટે રિઝર્વ સીટ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાના ગઢ સમાન આ વિધાનસભા બેઠક ઉપર આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર પેટા ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં ઉમેદવારોના નામોને લઈને તેમજ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની રણનીતિ તૈયાર કરવા માટે મોરવાહડફના ઉમરદેવી ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરવા હડફના ઉમરદેવી ગામમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેની રણનીતિ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચર્ચા કરી હતી. તો બીજી તરફ ભાજપ દ્વારા ચૂંટણીમાં પોલીસ અને પ્રશાસનનો દૂરઉપયોગ કરી ચૂંટણી જીતતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરીને જે નાણાં ભેગા કરવામાં આવ્યા છે તેનો જ ઉપયોગ આ ચૂંટણીઓમાં કરવામાં આવે છે. ભાજપ દ્વારા પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી દારૂની રેલમછેલ આ ચૂંટણીઓમાં કરવામાં આવે છે. આગામી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પણ ઉપસ્થિત કોંગી પદાધિકારીઓએ કાર્યકરોને અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 2017 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર ખાંટ અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું હોવા અંગેનો મામલો સામે આવ્યો હતો.અને તેઓને ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેની સામે હાઇકોર્ટમાં ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન બીમારીને લઈને ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયું હતું. તેમના અવસાન બાદ ખાલી પડેલ વિધાનસભાની આ બેઠક પર આગામી 17 મી એપ્રિલે પેટાચૂંટણી યોજવાની છે.