Monsoon Session 2021: સંસદના ચોમાસું સત્ર પહેલા કેન્દ્ર સરકારની મોટી બેઠક, રાજનાથસિંહના ઘરે મળેલી બેઠકમાં દિગ્ગજ મંત્રીઓ હાજર રહ્યા
કોરોના વાયરસ મહામારી વચ્ચે સંસદનું ચોમાસું સત્ર (Monsoon Session 2021) 19 જુલાઇથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન સત્રના 19 કાર્યકારી દિવસો રહેશે.
Monsoon Session 2021: સંસદના ચોમાસું સત્ર પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના ઘરે કેન્દ્ર સરકારની મોટી બેઠક મળી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, નરેન્દ્રસિંહ તોમર અને સરકારના 12 થી વધુ મોટા પ્રધાનો હાજર રહ્યા હતા. સંસદ સત્ર દરમિયાન તૈયારીઓ અંગે ભાજપના નેતાઓમાં મંથન ચાલ્યું હતું. સત્ર દરમિયાન વિરોધ પક્ષના હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ ચર્ચા પણ થઈ હતી. સરકાર દ્વારા રજૂ થનારા બિલ અને અન્ય મુદ્દાઓ પર આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. ચોમાસા સત્રને ફળદાયી બનાવવા માટેની વ્યૂહરચના અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
સત્ર દરમિયાન 19 દિવસોમાં થશે કામકાજ કોરોના વાયરસ મહામારી વચ્ચે સંસદનું ચોમાસું સત્ર (Monsoon Session 2021) 19 જુલાઇથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન સત્રના 19 કાર્યકારી દિવસો રહેશે. તેમણે કહ્યું કે અમે કોરોના સમયગાળા દરમિયાન ત્રણ સત્રોનું આયોજન કર્યું છે. સામાન્ય કરતાં દરેક સત્રમાં વધુ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદોએ પણ મોડી રાત સુધી કામ કર્યું હતું. સત્ર દરમિયાન RTPCR ટેસ્ટની સુવિધા 24 કલાક મળશે. મોટા ભાગના સભ્યોને રસી મળી છે. 311 સાંસદોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. 23 સાંસદો કોરોના સંક્રમિત હોવાને કારણે રસી લઈ શક્યા નથી.
18 જુલાઈએ ફ્લોર લીડર્સની બેઠક મળશે 18 જુલાઇએ ગૃહના તમામ ફ્લોર લીડર્સની બેઠક મળશે, જેથી સત્ર (Monsoon Session 2021) ચલાવવા અંગે ચર્ચા થઈ શકે. સંસદના નિયમ 377 હેઠળ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ એક મહિનામાં આપવામાં આવે છે અને આ કામ 95 ટકા સુધી થઈ રહ્યું છે.નવા મંત્રીમંડળની રચનાને કારણે અનેક સમિતિઓમાં બેઠકો ખાલી થઈ ગઈ છે. આ તમામ સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવશે.
ચોમાસું સત્રને લઈને તૈયારીઓ શરૂ સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session 2021) માટે સરકારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સરકારે સત્ર દરમિયાન પસાર થનારા મોટા બીલોની રૂપરેખા તૈયાર કરી છે.આમાં મોટા વિમાનમથકોના નામકરણનું બિલ, માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સૂચિત કાયદો, બાળ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને આંતર-રાજ્ય નદી જળ વિવાદ નિવારણ સમિતિની સ્થાપનાનો સમાવેશ થાય છે.