પીએમ મોદી(PM Modi)સાથે જમ્મુ-કાશ્મીરના તમામ પક્ષોના નેતાઓની બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે રાજકીય મતભેદો હશે પરંતુ દરેકને રાષ્ટ્રીય હિતમાં કામ કરવું જોઈએ જેથી જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir) ની જનતાને ફાયદો થઈ શકે. આ બેઠકમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં તમામ લોકોની સલામતી સુનિશ્ચિત કરવાની જરૂર છે અને કહ્યું કે દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર સમાપ્ત થવું જોઇએ.
સરકારની પ્રાથમિકતા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી
સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવા પર ભાર મૂકવાનો હતો. પીએમ મોદી(PM Modi)એ બેઠકમાં કહ્યું કે ડીડીસી ચૂંટણીના સફળ પ્રયોગ બાદ સરકારની પ્રાથમિકતા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી છે. તેમણે કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.
જમ્મુ-કાશ્મીરના લોકોના વિકાસ માટે સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો
સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી રાજ્યમાં જ ચૂંટણીઓ યોજાઈ શકે છે અને મોટાભાગના નેતાઓ તેમાં સહમત થયા છે. પીએમ મોદીએ તમામ સ્તરે લોકશાહીને મજબૂત બનાવવા અને જમ્મુ-કાશ્મીરના લોકોના વિકાસ માટે સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો.
5 ઓગસ્ટ, 2019 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવ્યા પછી રાજ્ય અને કેન્દ્ર સરકારના જુદા જુદા નેતાઓ વચ્ચે પ્રથમવાર આવી બેઠક મળી હતી.
પીએમ મોદીએ રાજ્યના દરજ્જા અંગે કશું કહ્યું નહીં – મુઝફ્ફર બેગ
આ બેઠક બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના નેતા મુઝફ્ફર હુસેન બેગે કહ્યું, “બેઠક ખૂબ સારી રહી. જેમાં મેં કહ્યું કે આર્ટિકલ 370 નો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 370 ના મામલે નિર્ણય લેશે. મેં આર્ટિકલ 370 માટેની કોઈ માંગ કરી નથી. મેં કહ્યું હતું આર્ટિકલ 370 નાબૂદ કરવાનો નિર્ણય જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા લેવાવો જોઈએ.આ તમામ પક્ષોએ જમ્મુ-કાશ્મીરના રાજ્યની માંગ કરી હતી. વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જા અંગે સીધા કશું કહ્યું નથી. તેમણે કહ્યું કે પહેલા સીમાંકન થવું જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે
5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકારે બંધારણના આર્ટિકલ 37૦ હેઠળ રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જો આપતી મોટાભાગની જોગવાઈઓ પરત ખેંચી હતી. તેમજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દીધું હતું. જેની બાદ 6 માર્ચ 2020 ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇની આગેવાની હેઠળ એક નવી સીમાંકન પંચની રચના કરી. સંભાવના છે કે સીમાંકન પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
Published On - 8:59 pm, Thu, 24 June 21