કિંજલ મિશ્રા | અમદાવાદ, એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં છે એટલા માટે જ ગુજરાતનો સાવજએ ના માત્ર ગુજરાતની પરંતુ દેશની શાન માનવામાં આવે છે. જો કે છેલ્લાં 4 વર્ષથી સિંહ અને સિંહ બાળના મૃત્યુમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ કુદરતી કરતાં અકુદરતી મૃત્યુ આંક સતત વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે.
વિધાનસભામાં સરકાર દ્વારા જ મુકાયેલા આંકડા ચોંકાવનારા છે . જો સરકારનું માનીએ તો ગત 2 વર્ષમાં 138 સિંહોના મૃત્યુ થયા છે. જ્યારે 123 સિંહબાળના મૃત્યુ થયા છે જે પૈકી વર્ષ 2018માં 59 જયારે વર્ષ 2019માં 79 સિંહ મૃત્યુ પામ્યા છે. જેમાંથી 11 સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયા છે. તે જ રીતે વર્ષ 2018માં 54 સિંહ બાળ જયારે 2019માં 69 સિંહ બાળના મૃત્યુ થયા છે. જેમાંથી 6 અકુદરતી રીતે મોતને ભેટ્યા છે. મહત્વનું છે કે ગત વર્ષે પણ વિધાનસભામાં આ મુદ્દે ઉઠ્યો હતો. જેમાં સરકારના જ આંકડાઓ જાણે સરકારની બેદરકારીની ચાડી ખાતા હોય એવું જોવા મળ્યું હતું. વર્ષ 2016 અને 2017માં 184 સિંહ મૃત્યુ પામ્યા તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા. એશિયાટિક સિંહોનાં મૃત્યુના આંકડાઓને સતત ચિંતાનો વિષય બની રહ્યો છે. આ અંગે કોંગ્રેસના MLA વિક્રમ માડમે સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું હતું કે સિંહો મામલે સરકારનું વલણ “જંગલ મેં મોર નાચા કિસને દેખા” જેવું છે.
જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે. ખેડૂતો સ્વબચાવ કરતા હોય એ સમયે ક્યારેક પ્રાણીનું મૃત્યુ પણ થતું હોય છે. સ્વબચાવમાં પ્રાણીઓના મૃત્યુમાં અધિકારીઓ ખેડૂતોને ખોટી રીતે હેરાન કરતા હોય છે. તો સિંહોના મૃત્યુ પાછળ જંગલ માં થતા ભ્રષ્ટાચાર અને ખામીઓને જવાબદાર ગણાવી છે. સાથે જ નિષ્પક્ષ તપાસની પણ મંગણી કરી છે. સિંહોના મૃત્યુના આંકડાને લઈને સરકારને પણ પોતાની કામગીરી ગણાવવાની ફરજ પડી હતી. આ અંગે નિવેદન આપતા વન મંત્રી ગણપત વસાવા એ જણાવ્યું હતું કે સિંહો ગુજરાતનું ગૌરવ અને ઓળખ છે.
સિંહોના સંવર્ધન માટે સરકારે યોગ્ય કામગીરી કરી છે.સિંહોના ભૂતકાળમાં થતાં મૃત્યુ હાલ અટકાવવામાં આવ્યા છે. 27 કરોડનો ખર્ચ સાથે આધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે. 40 કિમી રેલવેના ટ્રેકની બાજુમાં ફેન્સીગ કરાવ્યું છે. રાજ્ય સરકારે નવું શેત્રુંજી ડિવિઝન શરૂ કર્યું છે. 4 લાયન એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. 80 કરોડના ખર્ચે સિંહો માટે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસના આક્ષેપો ખોટા અને પાયા વિહોણા છે. વનવિભાગ અને ખેડૂતો સાથે મળીને સિંહોના સંવર્ધન માટે કામ કરે છે. વનવિભાગ ક્યારેય પણ ખેડૂતોને સીધા આરોપી બનાવતું નથી. જે કાર્યવાહી થાય છે તે નિયમ મુજબની જ થાય છે. કર્મશીલો માને છે કે આ ઘટનાને સહજ ન ગણવી જોઈએ કારણ કે આવી ઘટનાઓ પાછળ સિંહોની વધતી વસતી કારણભૂત હોય શકે છે. ભૂતકાળમાં એક સાથે 11 સિંહોના મોત થવાના કિસ્સા બન્યા હતા.
11માંથી 8 મોત તો માત્ર ‘ઇનફાઇટિંગ’ને કારણે મૃત્યુ થયા હતા. જોકે ઇનફાઇટિંગ કેવી રીતે ફેલાયો એ અંગે કોઈ જાણકારી હતી નહીં. વન્ય અધિકારીઓની માનીએ તો હાલમાં સિંહ ગીર નેશનલ પાર્ક, ગીર અભ્યારણ, ગીરનાર અભ્યારણ, મીતિયાળા અભ્યારણ અને પાનીયા અભ્યારણમાં વધુ વસવાટ કરે છે. આ અભ્યારણોને આશરે 525 સિંહોએ પોતાનું ઘર બનાવ્યું છે. ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે પણ સિંહનો વસવાટ છે. સૌરાષ્ટ્રનો દક્ષિણ-પશ્ચિમી પટ્ટો કે જેમાં સુત્રાપાડા, કોડીનાર, ઉના, અને વેરાવળનો સમાવેશ થાય છે અને દક્ષિણ-પૂર્વ પટ્ટો જેમાં રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી જેવા વિસ્તારો આવે છે, ત્યાં પણ સિંહ જોવા મળે છે.
આ પણ વાંચો : PM મોદીએ બેલ્જિયમ પ્રવાસ કર્યો રદ, કોરોના વાયરસના ખતરાના કારણે પ્રવાસ રદ
જો કે સિંહો ની વસ્તી સામે વસવાટનો વિસ્તાર ન વધ્યો હોવાના કારણે પણ સિંહોના મૃત્યુ થતા હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2015ની ગણતરી પ્રમાણે 80 સિંહ સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને તેની આસપાસનાં વિસ્તારોમાં રહે છે. જ્યારે 37 સિંહ ભાવનગર જિલ્લામાં રહે છે.મઆમ છતાં, ભાવનગર અને અમરેલીના આ વિસ્તારોમાં સિંહ માટે અભ્યારણની કોઈ વ્યવસ્થા નથી. આ વિસ્તારોને સિંહે પોતાના નવા વસવાટ તરીકે પસંદ કર્યા છે. જેને પગલે રાજ્યના વનવિભાગે સંબંધિત જિલ્લાઓને લગતા 109 ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સિંહો માટે નવું અભયારણ બનાવવા રજૂઆત કરી હતી.
ભૂતકાળમાં વન મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરી હતી કે ભાવનગર અને અમરેલીનાં 109 ચોરસ કિલોમિટરના વિસ્તારને સિંહોનાં સંવર્ધન માટે સુરક્ષિત કરવામાં આવશે. જોકે, હજુ સુધી આ જાહેરાત પર કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી. મહત્ત્વપૂર્ણ છે કે છેલ્લા પાંચ દાયકા દરમિયાન ગુજરાતમાં સિંહોની વસતિમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત રાજ્યના જંગલ ખાતાએ દાખલ કરેલું સોગંદનામું જણાવે છે કે 523 સિંહોમાંથી 200 સિંહો હાલમાં ખુલ્લા વિતારોમાં વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તાર જંગલ ખાતાની હદમાં આવતો નથી. કર્મશીલો માને છે કે સિંહોની વધતી વસતિનો પ્રશ્ન રાજ્ય સરકારે તાત્કાલિક હાથ પર લેવો જોઈએ. તેમનું માનવું છે કે રાજ્ય સરકાર સિંહોની વધતી વસતિના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હજી સુધી કોઈ હકારાત્મક પગલાં ભરી શકી નથી. આ અંગે વાતચીત કરતા મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ” અમારાં નેટવર્ક પ્રમાણે હાલમાં ગુજરાતમાં 750 જેટલા સિંહો છે અને તેમાથી અડધોઅડધ અભ્યારણની બહાર રહે છે. જ્યાં સુધી સરકાર સિંહો માટે ઇકૉ-સૅન્સિટિવ ઝોન ન બનાવે, ત્યાં સુધી સિંહના આકસ્મિક મોત થતાં રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે સરકારનો દાવો છે કે વર્ષ વાર સિંહોની વસ્તીમાં સતત વધારો થયો છે
વર્ષ સિંહોની સંખ્યા
1920 50
1968 177
1979 205
1985 239
1990 284
1995 304
2000 327
2005 359
2010 411
2015 523
Published On - 1:03 pm, Thu, 5 March 20