
ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલરને પાર પહોંચી ગઈ છે, જેના કારણે અમેરિકાથી લઈને જાપાન સુધી મોંઘવારી અને ઈંધણ સંકટની ચિંતા વધી ગઈ છે. જો કે, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હાલમાં સ્થિર છે. આની પાછળ ત્રણ મોટા કારણ છે, જે દેશને વૈશ્વિક ઝટકાઓથી બચાવી રહ્યા છે. ક્રૂડ $100 ને પાર કરવા છતાં ભારતમાં કિંમતો સ્થિર રહેવી એ મજબૂત રણનીતિનું પરિણામ છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ ઓઈલ $100 ને પાર પહોંચતા વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં પેટ્રોલની કિંમતોમાં સ્પષ્ટ ઉછાળો જોવા મળ્યો છે. બીજું કે, જ્યાં અમેરિકામાં કિંમતોમાં અંદાજે 20% સુધીનો વધારો થયો છે, ત્યાં કેનેડા અને ઇટાલીમાં 15-25% સુધીની તેજી નોંધાઈ છે. જર્મની, ફ્રાન્સ અને યુકે જેવા યુરોપિયન દેશોમાં 10-15% નો વધારો થયો છે, જ્યારે જાપાન, ચીન અને દક્ષિણ કોરિયામાં સરકારી નિયંત્રણ હોવા છતાં કિંમતો 8-11% સુધી વધી છે. આનાથી વિપરીત, ભારત એકમાત્ર એવો દેશ રહ્યો છે કે, જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ લગભગ સ્થિર રહ્યા છે. આ ભારતની મજબૂત સપ્લાય રણનીતિ, સસ્તી આયાત અને OMCs ના પ્રાઇસ મેનેજમેન્ટને દર્શાવે છે.

પશ્ચિમ એશિયામાં તણાવ અને સપ્લાયમાં અવરોધ આવવાને કારણે વિશ્વના ઘણા દેશો ઈંધણ સંકટનો સામનો કરી રહ્યા છે પરંતુ ભારતે અગાઉથી કરેલી તૈયારીઓના જોરે સ્થિતિને નિયંત્રણમાં રાખી છે. આ જ કારણ છે કે, જ્યાં બીજા દેશો કિંમતોમાં ભારે તેજી જોઈ રહ્યા છે, ત્યાં ભારતમાં તેની અસર મર્યાદિત રહી છે.

પ્રથમ કારણની વાત કરીએ તો, ભારત પાસે 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓના સ્ટોકને મળીને અંદાજે 70 થી 74 દિવસ સુધીની માંગ પૂરી કરવાની ક્ષમતા છે. આ મજબૂત સ્ટોક (બફર) અચાનક સપ્લાયમાં આવતા અવરોધોને સહન કરવામાં મદદ કરે છે અને કિંમતો પર તાત્કાલિક દબાણ આવવા દેતો નથી.

બીજું કારણ જોઈએ તો, ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા પાસેથી મોટાપાયે ડિસ્કાઉન્ટ પર કાચું તેલ (ક્રૂડ ઓઈલ) ખરીદ્યું છે. આનાથી કંપનીઓને તેમનો ખર્ચ ઓછો રાખવામાં મદદ મળી છે અને વધારાના નફાનો ઉપયોગ 'બફર' તરીકે કર્યો છે. આ જ કારણ છે કે, આંતરરાષ્ટ્રીય કિંમતો વધવા છતાં સ્થાનિક બજારમાં કિંમતોમાં તેજી જોવા મળી નથી.

ત્રીજું કારણ એ છે કે, ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) આંતરરાષ્ટ્રીય કિંમતોનો વધારો તરત જ ગ્રાહકો પર નાખતી નથી. એવામાં જ્યારે તેલ સસ્તું હતું, ત્યારે જે નફો (માર્જિન) કમાયો હતો, તેનો ઉપયોગ હવે મોંઘા સમયમાં કરવામાં આવે છે, જેથી ગ્રાહકોને મોટો ઝટકો ન લાગે. આ 'શોક એબ્સોર્બર' મોડલ ભારતને અન્ય દેશો કરતા અલગ પાડે છે.

ક્રૂડ ઓઈલ $100 ને પાર પહોંચવા છતાં અને વૈશ્વિક સંકટ વચ્ચે પણ સરકારે આ સ્થિતિને અગાઉથી બનાવેલી રણનીતિના જોરે ખૂબ જ સ્માર્ટ રીતે સંભાળી છે. આ રણનીતિમાં મુખ્યત્વે 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' દ્વારા 70 દિવસનો બફર સ્ટોક તૈયાર રાખવો, રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર તેલ ખરીદીને ખર્ચમાં ઘટાડો કરવો અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને 'શોક એબ્સોર્બર' (ઝટકા સહન કરનાર) તરીકે ઉપયોગમાં લેવાનો સમાવેશ થાય છે. આના કારણે આંતરરાષ્ટ્રીય કિંમતોની સીધી અસર સામાન્ય ગ્રાહકો સુધી પહોંચી નથી અને સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખી શકાયા છે.

આ ઉપરાંત, જ્યારે ક્રૂડ ઓઈલ ઘણું સસ્તું હતું, ત્યારે સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારીને પોતાની આવક (રેવન્યુ) વધારી હતી અને હવે જ્યારે ક્રૂડ મોંઘું થયું છે, ત્યારે સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આ સચોટ રણનીતિના કારણે ક્રૂડની વધેલી કિંમતોનો બોજ ઓઈલ કંપનીઓ આસાનીથી સહન કરી રહી છે અને સામાન્ય જનતાને પણ મોટી રાહત મળી છે.