
ટેકનોલોજીના આ યુગમાં બેન્કિંગ ક્ષેત્રે દરરોજ મોટા ફેરફારો થઈ રહ્યા છે. સામાન્ય રીતે બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે આપણી પાસે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ હોવું જરૂરી છે અથવા તો યુપીઆઈ સ્માર્ટફોનની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે હવે આ બધી વસ્તુઓ વગર પણ તમે ગમે ત્યારે રોકડા નાણાં મેળવી શકો છો? કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ હવે તમારું આધાર કાર્ડ જ એટીએમ કાર્ડ તરીકે કામ કરશે અને તમે માત્ર પોતાના બાયોમેટ્રિક આપીને બેન્કિંગ કરી શકશો.

સરકારની આ ખાસ વ્યવસ્થાનું નામ છે આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે એઈપીએસ (AEPS). આ સરકારી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે આના દ્વારા પૈસા ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે તમારે કોઈ એટીએમ કાર્ડ, ગુપ્ત પિન નંબર, સ્માર્ટફોન કે ઇન્ટરનેટની પણ જરૂર પડતી નથી. તે ફક્ત તમારા આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાની ઓળખના આધારે કામ કરે છે. આવો સરળ ભાષામાં સમજીએ કે આ માઇક્રો-એટીએમ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને તેનો લાભ કોને મળશે.

કેવી રીતે કામ કરે છે આખી સિસ્ટમ?: આધાર એઈપીએસની આખી વ્યવસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું અનિવાર્ય છે. આ સિસ્ટમ મુખ્યત્વે નીચે મુજબના 4 સ્ટેપ્સમાં કામ કરે છે, સૌથી પહેલાં તમારે તમારા નજીકના કોઈ 'બેંક મિત્ર' (બિઝનેસ કરસ્પોન્ડન્ટ) અથવા એવા વેપારી પાસે જવું પડશે જેમના પાસે AEPS સુવિધાવાળું માઇક્રો-એટીએમ મશીન ઉપલબ્ધ હોય.

તમારે બેંક મિત્ર સાથે ત્રણ સામાન્ય વિગતો શેર કરવી પડશે: તમારી બેંકનું નામ, તમારો આધાર નંબર અને તમારે જેટલી રકમ ઉપાડવી કે જમા કરવી હોય તે આંકડો. ત્યારબાદ તમારે તે મશીનના સ્કેનર પર તમારો અંગૂઠો કે આંગળી મૂકીને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું રહેશે. આ મશીન તમારી વિગતોને સીધી યુઆઈડીએઆઈ (UIDAI) ના સર્વર પર ચકાસણી માટે મોકલે છે. વેરિફિકેશન સફળ થતાં જ એનપીસીઆઈ (NPCI) ના માધ્યમથી તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે અને બેંક મિત્ર તમને રોકડી રકમ હાથમાં આપી દેશે.

માત્ર પૈસા ઉપાડવા જ નહીં, આ સેવાઓ પણ મળશે: એઈપીએસ સિસ્ટમ માત્ર કેશ વિથડ્રોઅલ પૂરતી મર્યાદિત નથી. આ ટેકનોલોજીથી તમે અન્ય ઘણા મહત્વના બેન્કિંગ કાર્યો પણ પતાવી શકો છો, જેવા કે: પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવવા. ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે (બેલેન્સ ઇન્ક્વાયરી) તે ચેક કરવું. છેલ્લા કેટલાક ટ્રાન્ઝેક્શનની નાની રસીદ (મિનિ સ્ટેટમેન્ટ) મેળવવી. એક આધાર લિંક ધરાવતા ખાતામાંથી બીજા આધાર લિંક ધરાવતા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા.

આ વ્યવસ્થા કોના માટે આશીર્વાદ સમાન છે?: દેશના એવા અંતરિયાળ કે ગ્રામીણ વિસ્તારો કે જ્યાં બેંકની શાખાઓ અથવા મોટા એટીએમ મશીનો ઉપલબ્ધ નથી, ત્યાં બેંક મિત્રો આ મશીન લઈને સીધા લોકોના ઘર સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડી રહ્યા છે.

આ સિવાય એવા વરિષ્ઠ નાગરિકો કે વૃદ્ધો જેઓ બેંકોની લાંબી લાઈનોમાં ઊભા રહી શકતા નથી અથવા જેમને એટીએમ કાર્ડનો ચાર આંકડાનો પિન નંબર યાદ રાખવામાં મુશ્કેલી પડે છે, તેઓ માત્ર અંગૂઠો લગાવીને સરળતાથી પેન્શન કે અન્ય સબસિડીના પૈસા ઉપાડી શકે છે. જો તમે ક્યારેક ઉતાવળમાં ઘરની બહાર નીકળતી વખતે તમારું પાકીટ કે કાર્ડ ઘરે ભૂલી જાઓ, તો પણ તમે માત્ર આધાર અને અંગૂઠાના જોરે દેશના કોઈપણ ખૂણેથી રોકડા રૂપિયા મેળવી શકો છો.

આ સુવિધા ચાલુ કરવા શું કરવું પડશે?: આ આખી સિસ્ટમની સૌથી ઉત્તમ બાબત એ છે કે આ માટે તમારે ફોનમાં કોઈ એપ્લિકેશન ડાઉનલોજ કરવાની કે બેંકમાં જઈને કોઈ ખાસ સેટિંગ ઓન કરાવવાની જરૂર નથી. જો તમારું ખાતું આધાર સાથે જોડાયેલું છે, તો તમે સીધા જ આ સેવાનો લાભ લઈ શકો છો. ફક્ત એટલી વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારો બાયોમેટ્રિક ડેટા લોક ન હોવો જોઈએ, જો ડેટા લોક હશે તો મશીન તમારી ઓળખ વેરિફાય કરી શકશે નહીં. બાયોમેટ્રિક વેરિફિકેશન વગર આમાં ટ્રાન્ઝેક્શન થવું અશક્ય હોવાથી આ વ્યવસ્થા સંપૂર્ણપણે સુરક્ષિત પણ માનવામાં આવે છે.