
જો તમારી પાસે એપ્રિલ 2023 પહેલા ખરીદેલી કાર કે મોટરસાઇકલ છે અને તમે તેમાં E20 પેટ્રોલ પુરાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશની સૌથી મોટી પ્રાઇવેટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓમાંથી એક ICICI લોમ્બાર્ડે વાહન ચાલકોને એક મોટી ચેતવણી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, જે વાહનો E20 ઇંધણ માટે સક્ષમ નથી, તેમાં આ પેટ્રોલ વાપરવાથી જો કોઈ નુકસાન થશે તો ઇન્સ્યોરન્સ ક્લેમ મળવો મુશ્કેલ બની જશે.

કંપની આવા કિસ્સાઓને વાહનનો ખોટો ઉપયોગ અથવા માલિકની બેદરકારીની શ્રેણીમાં ગણી શકે છે. દેશભરમાં 1 એપ્રિલ 2026 થી E20 પેટ્રોલનો ઉપયોગ ફરજિયાત કરાયા બાદ જૂના વાહન માલિકોમાં ચિંતા વધી ગઈ છે કે તેમના વાહનોને થતા નુકસાનનું વળતર વીમા કંપની આપશે કે નહીં. આ અંગે ICICI લોમ્બાર્ડે 9 જૂન 2026ના રોજ એક બ્લોગ જાહેર કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે.

શું કાર ઇન્સ્યોરન્સમાં E20 થી થતું નુકસાન કવર થશે? વીમા કંપનીના જણાવ્યા અનુસાર, જો તમારી કાર કે બાઇક E20 કમ્પેટેબલ એટલે કે આ ઇંધણ માટે અનુકૂળ છે, તો કોઈ સમસ્યા નથી. આવી સ્થિતિમાં તમારી પોલિસી સંપૂર્ણપણે માન્ય રહેશે અને ક્લેમ મેળવવામાં સામાન્ય રીતે કોઈ મુશ્કેલી નહીં આવે.

પરંતુ જો તમારું વાહન E20 ઇંધણ માટે યોગ્ય નથી અને તેમ છતાં તમે તેનો ઉપયોગ કરો છો, તો મામલો ગૂંચવાઈ શકે છે. જે ઇંધણ માટે વાહનની ડિઝાઇન બનાવવામાં આવી નથી, તેનો ઉપયોગ કરવો એ વીમા કંપનીઓની નજરમાં નિયમોનું ઉલ્લંઘન ગણાશે. આથી ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા ઘણી વધારે રહેશે.

એપ્રિલ 2023 પહેલાની ગાડીઓ સુરક્ષિત નથી: કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે એપ્રિલ 2023 પહેલા વેચાયેલી મોટાભાગની કાર અને ટુ-વ્હીલર વાહનો E20 પેટ્રોલ માટે અનુકૂળ નથી. બીજી તરફ, દેશભરમાં હવે E20 પેટ્રોલ જ વધારે મળી રહ્યું છે અને સામાન્ય પેટ્રોલની અછત હોવાથી વાહન માલિકો પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગે એપ્રિલ 2023 થી જ E20 સપોર્ટેડ વાહનો વેચવાનું શરૂ કર્યું હતું, જેનો અર્થ છે કે તે પહેલાની કરોડો ગાડીઓ આ નવા ઇંધણ પર ચાલવા માટે ડિઝાઈન કરવામાં આવી નથી.

E20 પેટ્રોલ જૂની ગાડીઓને કેવી રીતે નુકસાન કરે છે? ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર્યાવરણ માટે ચોક્કસપણે સારું છે, પરંતુ તે જૂના એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે. E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ હોય છે, જે સમય જતાં જૂના વાહનોની રબર સીલ, ફ્યુઅલ પાઇપલાઇન અને એન્જિનના અન્ય ભાગોને ગાળી નાખે છે અથવા નુકસાન પહોંચાડે છે. આ નુકસાન ધીમે-ધીમે થાય છે, જેથી તરત ખબર પડતી નથી અને બાદમાં વીમાના દાવા વખતે વિવાદ ઊભો થાય છે.