
રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ (RAAG) માટે ખરાબ સમય પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના ગંભીર કેસમાં અનિલ અંબાણીની વધુ ₹3,034 કરોડની સંપત્તિ ટાંચમાં (Attach) લેતા કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ તાજી કાર્યવાહી સાથે અત્યાર સુધીમાં અંબાણી ગ્રુપની કુલ ₹19,344 કરોડથી વધુની સંપત્તિ પર એજન્સીએ કબજો જમાવ્યો છે.

ED એ આ વખતે રિયાલન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (R-Infra) સાથે જોડાયેલી કિંમતી મિલકતોને નિશાન બનાવી છે. જેમાં સામેલ છે: મુંબઈમાં આવેલો આલીશાન ફ્લેટ અને ખંડાલાનું મોંઘાદાટ ફાર્મહાઉસ. અમદાવાદના સાણંદ પાસે આવેલી જમીનના મોટા પ્લોટ. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અંદાજે 7.71 કરોડ શેર, જે ટ્રસ્ટ સ્ટ્રક્ચર હેઠળ રાખવામાં આવ્યા હતા.

કેમ થઈ રહી છે આ કાર્યવાહી? : અનિલ અંબાણી ગ્રુપ પર બેંકો સાથે છેતરપિંડી અને લોનના નાણાં જે હેતુ માટે લીધા હતા તેના બદલે અન્ય જગ્યાએ વાપરવાના (Diversion of Funds) ગંભીર આરોપો છે. ED ની તપાસ મુજબ, આ નાણાંની હેરાફેરી મની લોન્ડરિંગ હેઠળ આવે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ આ તમામ મિલકતોને કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે.

શું હવે અનિલ અંબાણી બચી શકશે?: એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અનિલ અંબાણી અત્યારે કાયદાકીય કુંડાળામાં ફસાયેલા છે. બેંક ફ્રોડ અને ફંડ ડાયવર્ઝનના આ કેસમાં તપાસ એજન્સીઓ અત્યંત આક્રમક મૂડમાં છે. ₹19,000 કરોડથી વધુની મિલકતો જપ્ત થયા બાદ હવે અનિલ અંબાણી આ સંકટમાંથી કેવી રીતે બહાર આવશે, તેના પર આખા દેશની નજર છે.

શું અનિલ અંબાણી પોતાની આ મિલકતો પરત મેળવી શકશે કે પછી તેમનું સામ્રાજ્ય સંપૂર્ણપણે પત્તાના મહેલની જેમ વિખેરાઈ જશે? તે તો સમય જ કહેશે.