
બીજી તરફ, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ પણ IPL 2025માં અદ્ભુત રહી હતી. અય્યરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સે આ સિઝનના ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ભલે શ્રેયસ પંજાબ માટે ફાઈનલ જીતી શક્યો નહીં, પરંતુ બધાએ તેની કેપ્ટનશીપની પ્રશંસા કરી. હવે તેની અસર પણ દેખાઈ રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કેપ્ટનશીપમાં પોતાના શાનદાર પ્રદર્શન બાદ શ્રેયસ અય્યરે માત્ર ચાહકો જ નહીં પરંતુ BCCI અધિકારીઓના પણ દિલ જીતી લીધા છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, શ્રેયસ અય્યર હવે સત્તાવાર રીતે ટીમ ઈન્ડિયાના વ્હાઈટ બોલ કેપ્ટનશીપની રેસમાં જોડાઈ ગયો છે.

હાલમાં, સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે રોહિત શર્મા હજુ પણ ODI ટીમના કેપ્ટન છે. પરંતુ જો ફેરફાર થાય તો, અય્યરે આ જવાબદારીની રેસમાં જોડાઈ ગયો છે. ODI ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલ માટે આ સારા સંકેતો નથી.

શ્રેયસ અય્યરે છેલ્લા 15 મહિનામાં ત્રણ ટાઈટલ જીત્યા છે. અય્યરે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવ્યું. ત્યારબાદ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી. પછી અય્યરે ઈરાની કપ પણ જીત્યો. એટલું જ નહીં, તે IPL અને સ્થાનિક ક્રિકેટમાં કુલ પાંચ વખત ફાઈનલમાં પહોંચ્યો છે.

અય્યરે માત્ર કેપ્ટનશીપમાં જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ તેણે બેટથી પણ કમાલ કરી હતી. શ્રેયસે IPL 2025માં 17 મેચમાં 50.33ની સરેરાશથી 604 રન બનાવ્યા. જેમાં 6 અડધી સદી પણ સામેલ છે. શ્રેયસ પોતાની કેપ્ટનશીપમાં ત્રણ અલગ-અલગ ટીમોને IPL ફાઈનલમાં પહોંચાડનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો.

શ્રેયસ અય્યર ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે ભારતીય ટીમે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, ત્યારે શ્રેયસે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રેયસે તે ટુર્નામેન્ટમાં 5 મેચમાં 243 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થતો હતો.

શ્રેયસે 2023ના ODI વર્લ્ડ કપમાં પણ ધમાલ મચાવી હતી. તેણે 11 ઈનિંગ્સમાં 66.25ની સરેરાશથી 530 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 3 અડધી સદીનો સમાવેશ થતો હતો. શ્રેયસ અય્યર પણ કપ્તાનીના આ પડકાર માટે સંપૂર્ણપણે તૈયાર રહેશે. (All Photo Credit : PTI / X / BCCI / IPLS)