
અમદાવાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ અણનમ 104 રન બનાવ્યા. ત્યારબાદ તેણે વેસ્ટ ઈન્ડીઝની બીજી ઈનિંગમાં 13 ઓવરમાં માત્ર 54 રન આપીને 4 વિકેટ લીધી. વેસ્ટ ઈન્ડીઝને એક ઈનિંગ અને 140 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો.

રવિન્દ્ર જાડેજાને તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ODI ટીમમાં તેનો સમાવેશ ન થતાં એક કલાકમાં જ તેનો ઉજવણીનો માહોલ ફિક્કો થઈ ગયો.

વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છેલ્લે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં રમ્યો હતો. જાડેજાએ તે મેચમાં એક વિકેટ લીધી હતી અને અણનમ 9 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાડેજાનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. તેણે 5 મેચમાં 5 વિકેટ લીધી અને 27 રન બનાવ્યા. કદાચ આ પ્રદર્શનને કારણે તેને ODI ટીમમાં સામેલ ન કર્યો હોય, પરંતુ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે એક અલગ કારણ આપ્યું છે.

ટીમની જાહેરાત બાદ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું કે જાડેજાને આરામ આપવો એ તેની ક્ષમતાઓ કે ફોર્મનું પરિણામ નથી, પરંતુ એક વ્યૂહાત્મક નિર્ણય છે. કુલદીપ-વોશિંગ્ટન ટીમમાં હોવાથી ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારી શકાય તેમ નથી. (All Photo Credit : PTI / GETTY)