
IPL 2026 પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમે રિંકુ સિંહને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. KKR સાથે આ રિંકુ સિંહની આઠમી સીઝન છે, અને લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલા હોવાથી તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

રિંકુ સિંહે 2018માં KKR માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેમણે ફક્ત 29 રન બનાવ્યા હતા. ત્યારબાદની સીઝનમાં તેઓ 37 રન જ બનાવી શક્યા હતા. શરૂઆતના વર્ષોમાં ખાસ પ્રભાવ પાડી શક્યા ન હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ટીમ માટે સૌથી વિશ્વસનીય ફિનિશર તરીકે ઉભરી આવ્યા છે. તેમના સતત પ્રદર્શનને કારણે ટીમ મેનેજમેન્ટે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જો તેમના IPL કરિયરની વાત કરીએ, તો રિંકુ સિંહે અત્યાર સુધી 51 ઇનિંગ્સમાં 1099 રન બનાવ્યા છે. તેમનો બેટિંગ એવરેજ 30.52 છે અને સ્ટ્રાઈક રેટ 145થી વધુ છે. તેમણે ચાર અડધી સદી ફટકારી છે, સાથે જ 56 છગ્ગા અને 87 ચોગ્ગા નોંધાવ્યા છે. લાંબા સમયથી KKR સાથે રહેવાથી તેઓ ટીમના માહોલ અને સ્ટ્રેટેજીને સારી રીતે સમજે છે, જે તેમને લીડરશિપ માટે યોગ્ય બનાવે છે.

તેમ છતાં, રિંકુ સિંહ માટે આ સમય સરળ નથી. તાજેતરમાં તેમના પિતાનું કેન્સર કારણે અવસાન થયું છે, જે તેમની માટે વ્યક્તિગત રીતે મોટો ઝટકો છે. સાથે જ, T20 વર્લ્ડ કપ 2026માં તેમનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું, જ્યાં તેમણે પાંચ મેચમાં ફક્ત 23 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ તેમને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા હતા અને તેઓ ફાઇનલમાં પણ રમી શક્યા નહોતાં.

ભારત ટીમે વર્લ્ડ કપ જીતી લીધો હોવા છતાં રિંકુ સિંહ બેન્ચ પર રહ્યા હતા. હાલમાં તેઓ ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ KKR એ તેમ પર વિશ્વાસ બતાવીને તેમને ઉપ-કેપ્ટન બનાવ્યા છે. હવે રિંકુ સિંહ સામે મોટી જવાબદારી છે કે તેઓ આ વિશ્વાસને સાચું સાબિત કરે અને ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવે.