
આખરે લાંબી રાહનો અંત આવ્યો, જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ ખુશખબર આપી.

ટોસ જીત્યા પછી, હાર્દિક પંડ્યાએ જાહેરાત કરી કે રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ બંને મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં પાછા ફર્યા છે. જસપ્રીત બુમરાહ 92 દિવસ પછી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો છે.

બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી ટેસ્ટમાં ઘાયલ થયો હતો જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમી શક્યો ન હતો. જોકે, હવે બુમરાહ સંપૂર્ણપણે ફિટ છે અને આ ખેલાડી પહેલીવાર IPL 2025માં રમી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન : વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને વિગ્નેશ પુથુર.

બુમરાહની વાપસી મુંબઈ ઈન્ડિયન્સ માટે લાઈફલાઈનથી ઓછી નથી. મુંબઈની ટીમ IPL 2025માં તેની ઈમેજ મુજબ પ્રદર્શન કરી શકી નથી. આ ટીમ હાલમાં 4 માંથી માત્ર એક જ મેચ જીતી શકી છે. બુમરાહે IPLમાં 133 મેચમાં 165 વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ 7.30 રન પ્રતિ ઓવર છે. બુમરાહે બે વાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહે ગયા સિઝનમાં 20 વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વાનખેડેના મેદાન પર પીછો કરવો સરળ છે કારણ કે રાત્રે ઝાકળ પડે છે. એટલા માટે હાર્દિક પંડ્યાએ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું. આ ઉપરાંત, મુંબઈની ટીમ છેલ્લા દસ વર્ષથી RCBને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવી રહી છે. ઉપરાંત, હવે બુમરાહ અને રોહિત બંને પ્લેઈંગ 11 માં છે. આ સંકેતો RCB માટે બિલકુલ સારા નથી. (All Photo Credit: PTI)