
ટીમ ઈન્ડિયાની હારનું સૌથી મોટું કારણ શુભમન ગિલનું વલણ હતું. છેલ્લી બે ટેસ્ટ મેચમાં બે સદી અને એક બેવડી સદી ફટકારનાર શુભમન ગિલે લોર્ડ્સ ટેસ્ટમાં રન બનાવવા સિવાય બધું જ કર્યું. ક્યારેક તે ઈંગ્લેન્ડના બેટ્સમેન સાથે લડતો જોવા મળ્યો તો ક્યારેક તે અમ્પાયરો પર ગુસ્સે થતો જોવા મળ્યો. બેટિંગની વાત કરીએ તો, ગિલે પહેલી ઈનિંગમાં 16 અને બીજી અને ઈનિંગમાં માત્ર 6 રન જ બનાવ્યા.

ટીમ ઈન્ડિયાની હારનું બીજું મોટું કારણ રિષભ પંતનો રન આઉટ હતો. પંતે પહેલી ઈનિંગમાં શાનદાર 74 રન બનાવ્યા હતા પરંતુ કેએલ રાહુલને સદી ફટકારવા દેવા માટે તે રન આઉટ થયો હતો. પંતના રન આઉટને કારણે ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન થયું. ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડ પર મોટી લીડ મેળવી શકી હોત પણ એવું થઈ શક્યું નહીં અને ભારત 387 રન જ બનાવી શકી.

એ વાત સાચી છે કે ટીમ ઈન્ડિયા આક્રમક રમે છે પણ લોર્ડ્સમાં વધુ પડતી આક્રમકતા ટીમના પતનનું કારણ બની. રાહુલ, જાડેજા, રેડ્ડી, ગિલ, સિરાજ બધા જ ઈંગ્લિશ ખેલાડીઓ સાથે લડવામાં વ્યસ્ત હતા અને અંતે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ. એટલું જ નહીં, ભારતીય બોલરોએ બે ઈનિંગ્સમાં કુલ 63 વધારાના રન આપ્યા જે ઈંગ્લેન્ડના સ્કોરમાં મફતના આવ્યા હતા. અંતે, આ રન જીત અને હાર વચ્ચેનો તફાવત બની ગયા.

પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ જેટલા જ 387 રન બનાવ્યા હતા, આ રન ઘણા વધારે હોઈ શક્યા હોત પરંતુ ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં છેલ્લી 4 વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના નીચલા ક્રમના ખેલાડીઓએ ખાસ યોગદાન આપ્યું ન હતું, જેના કારણે ટીમને નુકસાન થયું.

કેએલ રાહુલે પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડના વિકેટકીપર જેમી સ્મિથનો કેચ છોડી દીધો હતો. તે સમયે આ ખેલાડી ફક્ત પાંચ રન પર રમી રહ્યો હતો. આ જીવનદાન પછી જેમી સ્મિથે 46 વધુ રન ઉમેર્યા અને 51 રનની ઈનિંગ રમી, જેના કારણે ઈંગ્લેન્ડને 387 રન સુધી પહોંચવામાં મદદ કરી. (All Photo Credit : PTI / GETTY / X / ESPN)