
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને શાનદાર જીત મેળવી. આ જીત માત્ર ભારત માટે જ નહીં પરંતુ હેડ કોચ ગૌતમ ગંભીર માટે પણ ખાસ રહી. તેની હાજરીમાં ભારતે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાની તાકાત સાબિત કરી.

ગૌતમ ગંભીર વિશે એક રસપ્રદ વાત એ છે કે તે ફાઈનલમાં હોય તો જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. અત્યાર સુધી તે કુલ સાત વખત મોટી ટુર્નામેન્ટની ફાઈનલનો ભાગ બન્યો છે અને દરેક વખત તેની ટીમે જીત મેળવી છે. આ અનોખો રેકોર્ડ ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

ગંભીરની ફાઈનલ જીતવાની સફર લગભગ 19 વર્ષ પહેલા શરૂ થઈ હતી. 2007 માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં તેણે પાકિસ્તાન સામે 75 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના કારણે ભારતે તે ટુર્નામેન્ટમાં ઐતિહાસિક જીત મેળવી હતી.

આ પછી 2011 ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ગંભીરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા સામે રમાયેલી ફાઈનલ મેચમાં તેણે 97 રનની યાદગાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ ભારતની જીતનો મજબૂત પાયો સાબિત થઈ હતી.

ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી પણ ગંભીરનો સફળતા સાથેનો સંબંધ યથાવત રહ્યો છે. કોચ તરીકે તેની આગેવાની હેઠળ ભારતે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે 2026 T20 વર્લ્ડ કપ જીત્યો છે. તેના માર્ગદર્શન હેઠળ ટીમ ઈન્ડિયાએ નવા આત્મવિશ્વાસ સાથે રમવાનું શરૂ કર્યું છે.

આ સિવાય IPL માં પણ ગંભીરનો સફળતાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેની કેપ્ટનશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 2012 અને 2014 માં IPL ટાઇટલ જીત્યું હતું. બાદમાં મેન્ટર તરીકે પણ ટીમે ટ્રોફી જીતી હતી. તેથી કહી શકાય કે ખેલાડી, કેપ્ટન કે કોચ તરીકે ગૌતમ ગંભીરે હજુ સુધી કોઈ મોટી ફાઈનલમાં હારનો સ્વાદ ચાખ્યો નથી. (PC:PTI/X)