
ભારતીય ક્રિકેટમાં પાંચ દિગ્ગજ ખેલાડીઓ એવા છે જે વર્લ્ડ કપ વિજેતા છે અને તેમણે મેદાન પર દેશને ગૌરવ અપાવ્યા બાદ કોચ તરીકે નવી પેઢીને માર્ગદર્શન પણ આપ્યું છે. ખેલાડીથી કોચ સુધીની તેમની સફર ભારતીય ક્રિકેટ માટે પ્રેરણાદાયક રહી છે અને આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહી છે.

ભારતને 2011 ના વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીર હાલમાં ટીમ ઈન્ડિયાનો હેડ કોચ તરીકે કાર્યરત છે. 2011 ના વર્લ્ડ કપ ફાઈનલમાં તેણે 97 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેના શાંત સ્વભાવ અને દબાણમાં રમવાની ક્ષમતા ટીમ માટે મજબૂત આધાર બની હતી. હવે તે પોતાના અનુભવથી યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યો છે.

1983 ની ઐતિહાસિક વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રવિ શાસ્ત્રી પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહી ચૂક્યા છે. 2007 માં તેઓ પ્રથમ વખત વચગાળાના કોચ બન્યા હતા. બાદમાં 2017 થી 2021 દરમિયાન તેમણે હેડ કોચ તરીકે સેવા આપી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ટેસ્ટ ક્રિકેટમાં નોંધપાત્ર સફળતા મેળવી.

ભારતને 1983 માં પ્રથમ વર્લ્ડ કપ જીતાડનાર કપ્તાન કપિલ દેવ સપ્ટેમ્બર 1999 માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા હતા. તેઓએ એક વર્ષ સુધી આ જવાબદારી સંભાળી. તેમના નેતૃત્વ અને ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે 1983 ની જીત ભારતીય ક્રિકેટ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.

1983 ના વર્લ્ડ કપમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મદન લાલ પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે. 1983ના ટુર્નામેન્ટમાં તેમણે 17 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1996 થી 1997 દરમિયાન તેમણે ભારતીય ટીમને માર્ગદર્શન આપ્યું હતું.

1983 ની જ વિજેતા ટીમના સભ્ય સંદીપ પાટિલ વર્લ્ડ કપ જીતનાર ટીમમાંથી પ્રથમ એવા ખેલાડી હતા જેઓ બાદમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા. 1996 માં તેમણે આ પદ સંભાળ્યું હતું. તેમની આક્રમક બેટિંગ શૈલી અને સ્પષ્ટ વિચારોને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા.(PC: PTI/X)
Published On - 5:52 pm, Tue, 24 February 26