
T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયા સામે નોંધાવેલી જીતે ક્રિકેટ વિશ્વને ચોંકાવી દીધું છે. અંડરડોગ ગણાતી ઝિમ્બાબ્વે ટીમે મજબૂત ઓસ્ટ્રેલિયાને પરાજિત કરતા ચાહકોમાં ચર્ચા જાગી છે. ખાસ કરીને ભારતીય સમર્થકો આ પરિણામને ‘શુભ સંકેત’ તરીકે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ સંયોગ વાયરલ બની ગયો છે.

ચાહકોનો દાવો છે કે ICC ટુર્નામેન્ટમાં જ્યારે પણ ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયાને હરાવે છે, ત્યારે ભારત વર્લ્ડ કપ જીતે છે. આ દાવા પાછળ ભૂતકાળના બે મોટા કિસ્સાઓ છે, જે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે.

1983ના ODI વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. તે જ વર્ષે કપિલ દેવની આગેવાની હેઠળ ભારતે વેસ્ટ ઈન્ડિઝને પરાજિત કરીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીતે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો હતો.

2007માં યોજાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપ દરમિયાન પણ ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તે ટુર્નામેન્ટમાં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીતે ભારતીય ક્રિકેટમાં નવા યુગની શરૂઆત કરી હતી.

હવે 2026માં ફરી એકવાર ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવતા ચાહકો જૂના સંયોગોને યાદ કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું ઇતિહાસનું પુનરાવર્તન થશે? શું ટીમ ઈન્ડિયા ફરી એકવાર ચેમ્પિયન બનશે? જો કે આ માત્ર સંયોગ છે, પરંતુ ચાહકો માટે આ આશાનું કિરણ બની ગઈ છે.

ભારતીય ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે. ક્રિકેટ મેદાન પર પ્રદર્શન જ અંતિમ પરિણામ નક્કી કરે છે, છતાં નસીબ અને સંયોગ જેવી બાબતો ચાહકોમાં ઉત્સાહ જગાવે છે. હવે સૌની નજર વર્લ્ડ કપના આગામી મુકાબલાઓ પર છે, જ્યાં ભારત પોતાના પ્રદર્શનથી ઇતિહાસ રચી શકે છે. (PC: PTI/X)