ગ્લોબલ ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીની રણજી ટ્રોફીમાં 12 વર્ષ બાદ વાપસી ખૂબ જ ખાસ બની રહી છે. વિરાટ કોહલી રણજી પુનરાગમન માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોહલી ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવા ઈચ્છશે.
પરંતુ વિરાટ કોહલી જો રણજી રમે તો તેને મોટું નુકસાન થવાનું છે. વાસ્તવમાં કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તેના પર મેચ ફી તરીકે લાખો રૂપિયાનો વરસાદ થાય છે. જ્યારે રણજી ટ્રોફીમાં તેની સરખામણીમાં ઘણા ઓછા રૂપિયા મળે છે.
જે ખેલાડીઓ 40 થી વધુ મેચ રમ્યા છે તેમને દરરોજ 60,000 રૂપિયા મળે છે. રણજી લીગ મેચો ચાર દિવસ અને નોક આઉટ મેચ પાંચ દિવસ સુધી ચાલે છે. આવી સ્થિતિમાં ખેલાડીને આખી મેચમાંથી 2 લાખ 40 હજારથી 3 લાખ રૂપિયા મળે છે. 40 થી વધુ મેચમેચ રમવાનો અનુભવ ધરાવતા રિઝર્વ ખેલાડીઓને દરરોજ 30 હજાર રૂપિયા મળે છે. 20 થી 40 મેચ રમનારા ખેલાડીઓ જો પ્લેઈંગ ઈલેવનમાં હોય તો દરરોજ 50,000 રૂપિયા મળે છે. જ્યારે રિઝર્વ ખેલાડીઓને 25 હજાર રૂપિયા સુધી મળે છે.
કોહલીએ આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 23 મેચ રમી છે. આ હિસાબે તેને દરરોજ 50 હજાર રૂપિયા મળશે. ચારેય દિવસની તેની કુલ ફી 2 લાખ રૂપિયા હશે. વિરાટ તેની હોમ ટીમ દિલ્હી માટે છેલ્લી લીગ મેચ 30 જાન્યુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે રમશે.
વિરાટ કોહલી BCCIના A+ ગ્રેડના ખેલાડીઓમાં સામેલ છે. તેને BCCI તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. જ્યારે T20, ODI અને ટેસ્ટ મેચ માટે ખેલાડીઓની ફી અલગ-અલગ છે. BCCI ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા સુધીની ફી ચૂકવે છે. વનડે મેચ માટે 6 લાખ અને T20 માટે 3 લાખ રૂપિયા મળે છે. ધારો કે વિરાટ રણજીને બદલે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હોત તો તેને વધુ રૂપિયા મળ્યા હોત.
વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 23 રણજી મેચ રમી છે. કોહલીએ આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં 50થી વધુની બેટિંગ એવરેજ સાથે 1574 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી ફટકારી હતી. કોહલી છેલ્લે નવેમ્બર 2012માં રણજી રમ્યો હતો અને ત્યારે માં બંને ઈનિંગના મળી 57 રન બનાવ્યા હતા. (All Photo Credit : PTI)