શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. ભારતીય પસંદગી સમિતિ ટૂંક સમયમાં T20 અને ODI ટીમની જાહેરાત કરી શકે છે. જો કે આ મીટિંગનો સૌથી મોટો મુદ્દો ટીમ ઈન્ડિયાના આગામી T20 કેપ્ટનનો છે. સવાલ એ છે કે કોણ બનશે T20 કેપ્ટન?
T20 વર્લ્ડ કપની જીત બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા રોહિત શર્માનું સ્થાન લેશે પરંતુ હવે આ રેસમાં સૂર્યકુમાર યાદવ આગળ હોવાનું કહેવાય છે. એવા અહેવાલો છે કે નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઈચ્છે છે કે સૂર્યકુમાર યાદવને T20 ટીમની બાગડોર સોંપવામાં આવે.
એક અહેવાલ મુજબ BCCIના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ હાર્દિક પંડ્યા કેપ્ટન બનવા જઈ રહ્યો હતો પરંતુ પસંદગી સમિતિ અને ગૌતમ ગંભીરનો ઝુકાવ સૂર્યકુમાર યાદવ તરફ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા દરેક સિરીઝમાં ઉપલબ્ધ નથી. ગંભીર ઈચ્છે છે કે 2026 T20 વર્લ્ડ કપ સુધી દરેક સિરીઝમાં રમનારા ખેલાડીને જ કેપ્ટન બનાવવામાં આવે.
હાર્દિક પંડ્યાનું વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે ભાગ્યે જ સતત બે સિરીઝ રમી છે. આ સિવાય હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ એક મોટું કારણ છે. જ્યારે સૂર્યકુમાર યાદવ સતત રમી રહ્યો છે. લગભગ તમામમાં તે રમ્યો છે અને તેને ફિટનેસની મોટી સમસ્યા પણ નથી.
વર્ષ 2014માં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો ત્યારે તેણે સૂર્યા સાથે કામ કર્યું હતું. 2014માં સૂર્યકુમાર યાદવને KKRનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. આજે સૂર્યા ટોપનો T20 બેટ્સમેન છે, તેથી તે કેપ્ટનશિપનો મોટો દાવેદાર બની ગયો છે.