
જ્યારે 2027નો ODI વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે, ત્યારે ટીમ ઈન્ડિયાના કેટલાક સ્ટાર ખેલાડીઓ જેમણે અગાઉની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તેઓ ભાગ લઈ શકશે નહીં. વિરાટ કોહલી અને રોહિત શર્માના રમવાનો પ્રશ્ન તો રહેશે જ, પરંતુ પાંચ ખેલાડીઓ એવા છે જે આગામી વર્લ્ડ કપનો ભાગ નહીં હોય. આમાંથી એક અનુભવી ખેલાડી નિવૃત્ત થઈ ગયો છે, જ્યારે ચાર ખેલાડીઓની ODI કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

રવિચંદ્રન અશ્વિન: ભારતના સૌથી સફળ સ્પિનરોમાંનો એક રવિચંદ્રન અશ્વિન 2023ના વર્લ્ડ કપનો ભાગ હતો, પરંતુ તેને ફક્ત એક જ મેચ રમવાનો મોકો મળ્યો. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ઓપનિંગ મેચમાં તેણે માત્ર 34 રન આપીને 1 વિકેટ લીધી. ત્યારબાદ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહીં. ડિસેમ્બર 2024માં અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

સૂર્યકુમાર યાદવ: T20 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ગયા વર્લ્ડ કપનો ભાગ હતો અને ફાઈનલમાં પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, આ વર્લ્ડ કપ પણ તેના માટે સારો રહ્યો નહીં. ઈંગ્લેન્ડ સામે 49 રનની મજબૂત ઈનિંગ સિવાય, તે રમાયેલી છ મેચમાં 25 રન પણ બનાવી શક્યો નહીં. વર્લ્ડ કપ ફાઈનલ પછી તે વનડે ટીમમાંથી બહાર થયો હતો અને તેની હવે વાપસી થવાની શક્યતા ઓછી છે.

મોહમ્મદ શમી: 2023ના વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે માત્ર સાત મેચમાં તેણે સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. શમી ગયા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો પણ ભાગ હતો. જો કે, તે ટુર્નામેન્ટ પછી ફિટનેસ અંગેની સમસ્યાઓ અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર સાથેના વિવાદને કારણે ટીમમાં તેની વાપસી અશક્ય લાગે છે.

શાર્દુલ ઠાકુર: બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની પણ આ વર્લ્ડ કપમાં વાપસી મુશ્કેલ છે. તે ગયા વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો અને પહેલી ત્રણ મેચ રમ્યો હતો, પરંતુ ત્રણેયમાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ, હાર્દિકની ઈજાએ શમી માટે માર્ગ મોકળો કર્યો, જ્યારે શાર્દુલને બહાર બેસવાની ફરજ પડી. ત્યારથી શાર્દુલ ODI ટીમમાં પાછો ફર્યો નથી.

રવિન્દ્ર જાડેજા: જો પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે કોઈ મોટો નિર્ણય લેવો પડે, તો તે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અંગેનો છે. જાડેજાની ફિટનેસ અને ફિલ્ડિંગ કુશળતા અજોડ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે આ ફોર્મેટમાં બેટિંગ-બોલિંગ બંનેમાં બિનઅસરકારક સાબિત થયો છે. તેણે તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ત્રણ મેચમાં ફક્ત 43 રન બનાવ્યા હતા અને વિકેટ વિના રહ્યો હતો. ટીમમાં અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરના વધતા મહત્વને જોતા, જાડેજા માટે સ્થાન મેળવવું મુશ્કેલ બની શકે છે. (PC:PTI/X)