
કર્ણાટકની મહારાજા T20 ટ્રોફી માટે યોજાયેલી હરાજીમાં કેએલ રાહુલનું નામ સૌથી મોટું આકર્ષણ હતું. છતાં આશ્ચર્યજનક રીતે તેઓ અનસોલ્ડ રહ્યો, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેએલ રાહુલના તાજેતરના ફોર્મને જોતા એવું લાગતું હતું કે તેના પર મોટી બોલી લાગશે, પણ તેને કોઈ ટીમે ના ખરીદ્યો.

IPL 2026માં કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 174.41ના સ્ટ્રાઈક રેટ સાથે 593 રન બનાવ્યા હતા, જેમાં એક વિસ્ફોટક 152 રનની ઇનિંગ પણ સામેલ છે. તેણે કુલ 87 બાઉન્ડરી ફટકારી હતી, જેમાં 31 છગ્ગા અને 56 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

તેમ છતાં મહારાજા T20 ટ્રોફીની હરાજીમાં તેને કોઈ ટીમે ખરીદ્યો નહીં. મુખ્ય કારણ તેની ઉપલબ્ધતા ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આગામી શ્રેણી માટેની તૈયારીમાં વ્યસ્ત હોવાથી ટૂર્નામેન્ટમાં રમવા અંગે અનિશ્ચિતતા હતી.

રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ હાલ દેશની આંતરરાષ્ટ્રીય સિરીઝમાં વ્યસ્ત છે અને આગામી ટેસ્ટ તથા વનડે સિરીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ કારણથી સ્થાનિક T20 લીગમાં તેના રમવા પર સવાલ ઉભા થયા હતા.

બીજી તરફ, હરાજીમાં ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને મૈસુર વોરિયર્સે 2.60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલ તે પણ આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ છે, છતાં તેની પસંદગી હરાજીમાં થઈ હતી. (PC:PTI/X)