
IPL 2026 એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ જામશે. બંને ટીમો માટે ‘કરો યા મરો’ મેચ છે. હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકશે, જ્યારે જીતનારી ટીમ ક્વોલિફાયર 2 રમશે. આ મેચ પહેલા વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી છે.

ન્યુ ચંદીગઢ ખાતે રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. એક તરફ અનુભવી કેપ્ટન પેટ કમિન્સની આગેવાની હેઠળ સનરાઈઝર્સ હૈદરાબાદ મેદાનમાં ઉતરશે, તો બીજી તરફ યુવા કેપ્ટન રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ સંભાળશે. બંને ટીમો જીત માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.

પરંતુ મેચ પર વરસાદનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. IPLના નિયમો મુજબ એલિમિનેટર મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. તેથી મેચ ઓફિશિયલ્સ એ જ દિવસે રમત પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. જો વરસાદ પડે તો મેચ માટે વધારાના 120 મિનિટનો સમય આપવામાં આવશે.

નિયમો અનુસાર, પરિણામ નક્કી કરવા માટે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ જરૂરી છે. જો વધારાનો સમય મળ્યા બાદ પણ પાંચ ઓવર પૂર્ણ ન થાય તો મેચ રદ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં વધુ સારી સ્થિતિ ધરાવતી ટીમને ફાયદો થશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહ્યું હતું, જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા ક્રમે રહી હતી. તેથી જો મેચ વરસાદને કારણે રદ થાય તો હૈદરાબાદ સીધું ક્વોલિફાયર-2માં પ્રવેશ કરશે અને રાજસ્થાનની સફર સમાપ્ત થઈ જશે.

હવામાન વિભાગ અનુસાર આજે ન્યુ ચંદીગઢમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ભારે ગરમી ખેલાડીઓ માટે પડકાર બની શકે છે. તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી છે, જેના કારણે મેચ દરમિયાન ખેલાડીઓની ફિટનેસ અને સહનશક્તિની પણ કસોટી થશે. (PC:PTI/X/IPL)