
ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2026ની મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. જોકે વરસાદની શક્યતાને કારણે આ મેચ રદ થવાનું સંકટ છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, એવામાં જો વરસાદ વિલન બને તો બંને ટીમોના સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.

ધર્મશાલામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદને કારણે ક્રિકેટ ચાહકોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ મેચ દરમિયાન 55 થી 60 ટકા વરસાદની શક્યતા છે. જો વરસાદ સતત ચાલુ રહ્યો તો મેચ મોડી શરૂ થવાની અથવા સંપૂર્ણ રદ થવાની શક્યતા નકારી શકાય નહીં.

પંજાબ કિંગ્સ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમે સિઝનની શરૂઆત શાનદાર કરી હતી, પરંતુ સતત ચાર હાર બાદ તેમની સ્થિતિ ખરાબ થઈ છે. હાલમાં ટીમને જીત અને પોઈન્ટ્સની જરૂર છે અને આવી સ્થિતિમાં વરસાદ તેમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

જો મેચ વરસાદને કારણે રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. એ સ્થિતિમાં પંજાબ કિંગ્સના 12 મેચ બાદ 14 પોઈન્ટ થશે. જોકે IPL પ્લેઓફમાં સ્થાન પાકું કરવા માટે સામાન્ય રીતે 16 અથવા તેથી વધુ પોઈન્ટ જરૂરી બનતા હોય છે. તેથી પંજાબ માટે બાકીની બંને મેચ જીતવી અનિવાર્ય બની શકે છે.

બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. તેમ છતાં ટીમ માટે સિઝન સફરી રીતે જીત સાથે રીતે કરવાનો પડકાર છે. હાલમાં મુંબઈના 11 મેચમાં માત્ર છ પોઈન્ટ છે અને ટીમ નવમા સ્થાને છે. જો મેચ રદ થાય તો MI ને છેલ્લા સ્થાને ફેંકાવાનો પણ ખતરો છે.

પર્વતીય વિસ્તાર હોવાને કારણે ધર્મશાલાનું હવામાન જલ્દી બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોની નજર હવે વરસાદ પર ટકેલી છે. બંને ટીમો માટે આ મુકાબલો અલગ-અલગ કારણોસર મહત્વનો છે અને વરસાદ IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં મોટો ઉથલપાથલ સર્જી શકે છે. (PC:PTI/X)