
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેઓ 11 મેચમાં 9 હાર સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. હવે તેમની પાસે ફક્ત 3 મેચ બાકી છે.

આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સનો એક યુવા ખેલાડી ઈજાના કારણે બાકીની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. CSKએ પોતાની ટીમમાં એક એવા ખેલાડીનો સમાવેશ કર્યો છે, જેણે 28 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનો યુવા વિકેટકીપર-બેટ્સમેન વંશ બેદી ઈજાના કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. વંશ બેદીને ડાબા પગની ઘૂંટીમાં લિગામેન્ટ ફાટી જવાને કારણે ટીમ છોડવી પડી છે. આ સિઝનમાં તેને હજુ સુધી રમવાની તક પણ મળી નથી. તેના સ્થાને, ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત તરફથી રમતા વિકેટકીપર-બેટ્સમેન ઉર્વિલ પટેલને ટીમમાં સામેલ કર્યો છે.

ઉર્વિલે ભારતની સ્થાનિક T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઉર્વિલ પટેલ એ જ ખેલાડી છે જેણે 2024-25માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈન્દોરમાં ત્રિપુરા સામે 28 બોલમાં સદી ફટકારી હતી અને T20 સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો હતો. જોકે આ પહેલા ઉર્વિલ પટેલ IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો.

ઉર્વિલ પટેલ ભારત માટે લિસ્ટ A માં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી પણ છે. તેણે 2023માં વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલ પટેલે અત્યાર સુધીમાં 47 T20 મેચોમાં 26ની સરેરાશથી 1162 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદી અને 2 સદીનો સમાવેશ થાય છે. તેણે આ રન 170.38 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

ઉર્વિલ પટેલ એ ત્રણ ખેલાડીઓમાંનો એક હતો જેણે તાજેતરમાં CSK દ્વારા આયોજિત મિડ-સિઝન ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. આ ટ્રાયલ 27 અને 28 એપ્રિલના રોજ ચેન્નાઈમાં યોજાઈ હતી. અગાઉ, આયુષ મ્હાત્રે અને ઉર્વિલ પટેલને એકસાથે ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના સ્થાને ઉર્વિલને પડતા મૂકીને આયુષની પસંદગી કરવામાં આવી હતી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
Published On - 7:52 pm, Mon, 5 May 25