
ભારતીય ક્રિકેટ ટીમ 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે. આયર્લેન્ડ સામે 0-2થી શ્રેણી ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાનારી પ્રથમ મેચથી ભારતીય ટીમ જીત સાથે નવા અભિયાનની શરૂઆત કરવા માંગશે.

ભારતે છેલ્લે 2022માં ઈંગ્લેન્ડની ધરતી પર T20 શ્રેણી રમી હતી. તે વખતે ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી, જ્યારે ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. ભુવનેશ્વર કુમારને સમગ્ર શ્રેણીમાં શાનદાર બોલિંગ બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

2022ની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે સાઉથમ્પ્ટનમાં 50 રને જીત મેળવી હતી. બીજી મેચમાં બર્મિંગહામ ખાતે 49 રનથી વિજય મેળવતાં ભારતે શ્રેણી કબજે કરી લીધી હતી. જોકે, અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે 17 રને જીત મેળવીને ક્લીન સ્વીપ ટાળ્યો હતો.

આ વખતે ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરાઓ છે. ખાસ કરીને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે. આયર્લેન્ડ સામેની બંને T20 મેચમાં તેને ડેબ્યૂ કરવાની તક મળી નહોતી, પરંતુ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાની શક્યતા વધુ માનવામાં આવી રહી છે.

આયર્લેન્ડ સામેની હાર બાદ ભારતીય ટીમ પર દબાણ વધી ગયું છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માત્ર જીત માટે જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે પણ મહત્વપૂર્ણ રહેશે. જો ટીમ ઈન્ડિયા 2022 જેવી જ રમતનું પુનરાવર્તન કરશે, તો ચાર વર્ષ બાદ ફરી એકવાર ઈંગ્લેન્ડની ધરતી પર T20 શ્રેણી જીતવાનો ઈતિહાસ રચી શકે છે. (PC:PTI/X)
Published On - 8:22 pm, Tue, 30 June 26