
IPL પછી ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને ત્રણ મેચની ODI શ્રેણી રમશે. બંને ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત મંગળવારે ગુવાહાટીમાં કરવામાં આવશે. પસંદગી સમિતિની બેઠક પહેલા ઘણા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

એવા અહેવાલ છે કે કેટલાક સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવશે, જ્યારે કેટલાક અનુભવી ખેલાડીઓનું ફરી ટીમમાં કમબેક થઈ શકે છે. એક ખેલાડી એવો છે જેની તેના ઉત્તમ પ્રદર્શન છતાં ટીમમાં પસંદ થવાની શક્યતા ઓછી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયામાં ત્રણ ખેલાડીઓ પાછા આવી શકે છે. પહેલું મોટું નામ મોહમ્મદ સિરાજનું છે, જે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાં જોવા મળી શકે છે. સિરાજે IPL 2026 માં સારું પ્રદર્શન કર્યું, સૌથી વધુ ડોટ બોલ ફેંક્યા છે.

મોહમ્મદ શમી ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. તેણે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું અને IPL 2026 માં પણ સારી સ્પીડ અને લેન્થ સાથે બોલિંગ કરી છે. તેની ફિટનેસમાપન સુધારો થયો છે.

સંજુ સેમસનને પણ તક મળવાની પૂરી શક્યતા છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સેમસને IPL 2026 માં પણ સારું પ્રદર્શન કર્યું અને હવે તે ODI ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ સિવાય રિષભ પંતને ODI ટીમમાંથી બહાર કરી શકાય છે.

રણજી ટ્રોફીમાં 60 વિકેટ લેનાર જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને ટેસ્ટ ટીમમાં તક નહીં મળે. અહેવાલો સૂચવે છે કે તેની અને ગુર્નુર બ્રારની પસંદગી થવાની શક્યતા ઓછી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવી શકે છે.

પસંદગી સમિતિની બેઠકમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસ પર ચર્ચા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. રોહિત શર્મા ઈજાને કારણે કેટલીક IPL મેચો રમ્યો નથી. વધુમાં તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમ્યો છે. પ્રશ્ન એ છે કે શું રોહિત પચાસ ઓવરના ફોર્મેટ માટે ફિટ છે. જો તે ફિટ નહીં હોય, તો તેની પસંદગી કરવામાં આવશે નહીં.

હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ ચર્ચાનો વિષય છે. હાર્દિક પંડ્યા ઈજાને કારણે આ IPL સિઝનમાં છેલ્લી કેટલીક મેચો રમ્યો નથી. જો તે અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી માટે ફિટ હશે તો જ તેની પસંદગી કરવામાં આવશે. (PCl:PTI/X)