
અફઘાનિસ્તાન સામે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે પોતાના નિર્ણયથી સૌને ચોંકાવી દીધા. સામાન્ય રીતે ઓપનિંગ કરતા ગિલે આ મેચમાં પોતાની જગ્યા યશસ્વી જયસ્વાલ માટે ખાલી કરી અને નંબર-3 પર બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

આ મેચમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભારતીય ઇનિંગની શરૂઆત કરી હતી. ટીમ મેનેજમેન્ટને આશા હતી કે બંને આક્રમક શરૂઆત અપાવશે, પરંતુ યશસ્વી માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો.

યશસ્વી નિષ્ફળ રહ્યો હોવા છતાં શુભમન ગિલના આ નિર્ણયની પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં જ સદી ફટકારનાર ગિલે પોતાના વ્યક્તિગત રેકોર્ડ કરતા ટીમ કોમ્બિનેશનને વધુ મહત્વ આપ્યું અને યુવા ખેલાડીને તક આપી.

ગિલ માટે નંબર-3 પર બેટિંગ કરવું નવી વાત નથી. તેણે અત્યાર સુધી આ સ્થાને છ ઇનિંગ રમી છે અને સરેરાશ 60ની આસપાસ રાખી છે. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી પણ ફટકારી છે. જોકે, ઓપનર તરીકે તેનો રેકોર્ડ વધુ શાનદાર રહ્યો છે, જ્યાં તેણે 57 વનડેમાં સાત સદી અને 17 અડધી સદી નોંધાવી છે.

બીજી તરફ રોહિત શર્મા અડધી સદીથી થોડા જ રન દૂર રહી ગયો.રોહિત શર્મા 39 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. (PC:X/BCCI)