વિરાટ કોહલી માટે 30મી જાન્યુઆરી ખૂબ જ ખાસ દિવસ છે. તે લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફી રમવા જઈ રહ્યો છે. તેને રેલવે સામે રમાનાર મેચ માટે દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે આ મેચ માટે વ્યાપક તૈયારી કરી છે અને પ્લેઈંગ 11માં તેનો સમાવેશ લગભગ નિશ્ચિત છે. ઈન્ટરનેશનલ ક્રિકેટની જેમ રણજીમાં પણ વિરાટ કોહલીના આંકડા ઘણા સારા છે, પરંતુ એવરેજના મામલે એક ખેલાડી તેના કરતા ઘણો આગળ છે. નેટવર્થમાં પણ વિરાટ આ દિગ્ગજથી પાછળ છે.
વિરાટ કોહલીએ રણજી ટ્રોફીમાં તેની પ્રથમ મેચ નવેમ્બર 2006માં તમિલનાડુ સામે રમી હતી, જ્યારે છેલ્લી મેચ નવેમ્બર 2012માં ઉત્તર પ્રદેશ સામે રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 23 રણજી મેચ રમી હતી. રણજી ટ્રોફીમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 50.77ની એવરેજથી 1574 રન બનાવ્યા છે. જેમાં તેણે 5 સદી પણ ફટકારી છે. પરંતુ દિલ્હીની ટીમ માટે રણજી ટ્રોફીમાં સૌથી વધુ સરેરાશ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ ક્રિકેટર અજય જાડેજાના નામે છે.
અજય જાડેજા સ્થાનિક ક્રિકેટમાં હરિયાણા, દિલ્હી અને જમ્મુ કાશ્મીરની ટીમો તરફથી રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે રણજી ટ્રોફીમાં દિલ્હી માટે 13 મેચ રમી હતી. જેમાં તેણે 17 ઈનિંગ્સ રમી હતી અને 70.58ની એવરેજથી 847 રન બનાવ્યા હતા. આ દરમિયાન અજય જાડેજાએ 3 સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી. દિલ્હી માટે 1 થી વધુ રણજી મેચ રમનાર કોઈ પણ ખેલાડી એવરેજના મામલે અજય જાડેજાની નજીક નથી.
નેટવર્થની બાબતમાં પણ અજય જાડેજા વિરાટ કોહલી કરતા ઘણો આગળ છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટની કુલ નેટવર્થ લગભગ $127 મિલિયન એટલે કે લગભગ 1046 કરોડ રૂપિયા છે. તેની ગણતરી વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે. જ્યારે અજય જાડેજાની કુલ સંપત્તિ 1,450 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
ગયા વર્ષે અજય જાડેજાને ગુજરાતના જામનગર રોયલ થ્રોનનો વારસદાર જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે તેની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
Published On - 9:45 pm, Wed, 29 January 25