
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉં ગામમાં આવેલા સુપ્રસિદ્ધ અને અતિ પ્રાચીન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર (જૂના ભવનાથ મહાદેવ મંદિર) ખાતે અનોખા ‘શિવદર્શન’ નું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાનાર આ શિવદર્શનનો પ્રારંભ 05 સપ્ટેમ્બર, 2026ના શનિવારે સવારે 10 વાગ્યે થશે અને 07 સપ્ટેમ્બર, સોમવારે તેની પૂર્ણાહુતિ થશે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે ભક્તોને દેશના દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતાં ચિત્રોનું આ અનોખું પ્રદર્શન ભુવનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયું છે. આ શિવદર્શનમાં ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ અને દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમાને દર્શાવતાં ચિત્રો ભક્તોને નિહાળવા મળશે.

અમદાવાદના શિવભક્ત હસમુખ પટેલે આ તમામ ચિત્રો તૈયાર કર્યા છે. ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને કંડારતાં કુલ 275 જેટલાં ચિત્રોના શિવદર્શનની શરૂઆત વર્ષ 2006માં શ્રાવણ માસ દરમિયાન ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી કરવામાં આવી હતી. ત્યારબાદ દેશના તમામ 12 જ્યોતિર્લિંગ ખાતે શિવદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને વર્ષ 2017માં મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આ યાત્રા પૂર્ણ થઈ હતી.

દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કર્યા બાદ હસમુખ પટેલે હવે ગુજરાતનાં પ્રાચીન અને પૌરાણિક શિવમંદિરોમાં શિવદર્શન યોજવાનો સંકલ્પ કર્યો છે. આ અંતર્ગત આ વર્ષે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉં ગામમાં આવેલા પ્રાચીન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ધંધુકા નજીક ભીમનાથ મહાદેવ, બોટાદ નજીક ઘેલા સોમનાથ અને ભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવ ખાતે પણ શિવદર્શન યોજાઈ ચૂક્યું છે.

ખાસ વાત એ છે કે હસમુખ પટેલ વ્યવસાયે અમદાવાદમાં પાન પાર્લર ચલાવે છે અને તેમણે ચિત્રકળાની કોઈ ઔપચારિક તાલીમ કે શિક્ષણ લીધું નથી. તેમ છતાં ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી પ્રેરાઈને તેઓ મહાદેવના ચિત્રો દોરે છે. તેઓ માત્ર લાલ અને કાળા બે રંગોનો ઉપયોગ કરીને ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને પોતાની કલામાં અંકિત કરે છે.

હસમુખ પટેલનું માનવું છે કે આ ચિત્રો કોઈ વેચાણ માટે નહીં, પરંતુ ભક્તોને ભગવાન શિવના દર્શન અને સંદેશ સાથે જોડવા માટે છે. ભગવાન શિવનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ભક્તોને શિવભક્તિનો અનુભવ થાય તે માટે દર શ્રાવણ માસ દરમિયાન વિવિધ શિવમંદિરોમાં શિવદર્શનનું આયોજન થાય તેવો તેમણે સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ અંતર્ગત વર્ષ 2025માં સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં સાબરમતી નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શિવદર્શન યોજાયું હતું.

અગાઉ યોજાયેલા શિવદર્શનમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ ભાગ લઈને ભગવાન શિવની કલાત્મક કૃતિઓના દર્શનનો લાભ લીધો હતો. હવે મઉંના શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસીય શિવદર્શનનું આયોજન થતાં અરવલ્લી સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. શ્રાવણ માસની પવિત્રતામાં યોજાનાર આ શિવદર્શન ભક્તો માટે આધ્યાત્મિકતા સાથે કલાનો અનોખો સંગમ બની રહેશે.
Published On - 9:02 am, Sat, 5 September 26