
કાર્યક્રમની શરૂઆતમાં રથની પૂજા કરવામાં આવી અને વૈદિકગ્રંથોના વૈદિક મંત્રોનું ગાન તેમજ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તો દ્રારા રથના દોરડા ખેંચીને ભગવાન રાધા-માધવને મંદિર પરિસરની ફરતે સવારી કરાવવામાં આવી હતી. રથના સંપૂર્ણ રૂટ દરમિયાન ભક્તો દ્વારા હરિનામ સંકિર્તન કરવામાં આવ્યું હતું.

આશરે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના અવતરણ સમયે મહારાજા નંદ અને માતા યશોદાએ બાલકૃષ્ણને દૂધ, ઘી, મધ, ફળોના રસ, પંચગવ્ય, ઔષધિઓ અને પુષ્પોથી ભક્તિપૂર્વક અભિષેક કર્યો હતો. આ સિવાય સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી પણ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો.

જન્માષ્ટમી મહોત્સવમાં મધ્યરાત્રિના 12 વાગ્યે સંકિર્તન સાથે ભગવાનની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. 17 ઓગસ્ટ, 2025 ના રોજ નંદોત્સવ અને વ્યાસપૂજાની ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવ ગુરૂના જન્મને વ્યાસપૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલ પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે થયો હોવાથી આ ઉત્સવને વ્યાસપૂજા મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે હરિનામ જપયજ્ઞમાં ભગવાન કૃષ્ણના દિવ્યનામનું 21 લાખ વખત રટણ કરવામાં આવ્યું અને મુલાકાતીઓને તેમાં ભાગ લેવા તક આપવામાં આવી, જે લોકોની શાંતિ તેમજ સુખાકારીમાં વૃદ્ધિ કરવામાં આશિષમય બની રહેશે. આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવોએ હાજરી આપી અને જન્માષ્ટમી ઉત્સવનો લાભ લીધો હતો. આ પ્રસંગમાં હાજર રહીને ભક્તો તેમજ મહાનુભાવોએ ભગવાન કૃષ્ણની કૃપા મેળવી હતી.