યુપીના કાનપુરમાં શુક્રવારે ઝિકા વાયરસના વધુ બે નવા દર્દીઓ મળી આવ્યા છે. બંને દર્દીઓ એરફોર્સ વિસ્તાર અને જાજમાઉના રહેવાસી છે. ગયા અઠવાડિયે મળી આવેલા ઝિકા ચેપમાંથી 17 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગે નવા મળેલા દર્દીઓના સંબંધીઓની તપાસ શરૂ કરી છે અને મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ કરાવ્યું છે. સીએમઓએ ગર્ભવતી મહિલાઓને મચ્છરદાનીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશમાં ઝિકા વાયરસના 138 દર્દીની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 115 દર્દી સાજા થયા છે. CMO ડૉ. નૈપાલ સિંહે દાવો કર્યો હતો કે 100 ટીમોએ ઝિકાથી પ્રભાવિત ત્રણ કિલોમીટર વિસ્તારમાં 2,978 ઘરનો સર્વે કર્યો હતો. સગર્ભા મહિલાઓ સહિત 89 શકમંદના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 5,384 સેમ્પલ લેવામાં આવ્યા છે.
20 નવેમ્બરે ઝિકા સંક્રમિત મહિલાના NICUમાં દાખલ નવજાત શિશુના હૃદયની કાર્ડિયોલોજીમાં તપાસ કરવામાં આવશે. કાજીખેડામાં રહેતી ઝિકા સંક્રમિત મહિલાના નવજાત શિશુના હૃદયમાં તકલીફ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હાલ તબીબોએ તેમને પીડિયાટ્રિક હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ કર્યા છે. સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું કે બાળકનું અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં પાંચ દર્દીઓમાં ડેન્ગ્યુની પુષ્ટિ થઈ હતી. જિલ્લામાં ડેન્ગ્યુથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને ડેન્ગ્યુના કેસ 608 પર પહોંચી ગયા છે જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ચીફ મેડિકલ ઓફિસર ડો.સુનિલ કુમાર શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન ELISA રિપોર્ટમાં પાંચ નવા દર્દીઓમાં ડેન્ગ્યુની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું કે હાલમાં 16 ડેન્ગ્યુના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે જિલ્લામાં અત્યાર સુધીમાં 608 દર્દીઓ ડેન્ગ્યુથી સંક્રમિત જોવા મળ્યા છે.
તેમણે કહ્યું કે ”આરોગ્ય વિભાગ ડેન્ગ્યુ પ્રત્યે સંપૂર્ણ રીતે ગંભીર છે અને તેને અટકાવવા અને દર્દીઓને યોગ્ય સારવાર આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુના કારણે અનેક લોકોના મોત થયા હોવાની ચર્ચા છે, પરંતુ આરોગ્ય વિભાગ આ મોતનું કારણ ડેન્ગ્યુને સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યું છે.”