Winter Session Of Parliament : સંસદનું શિયાળુ સત્ર આજે સોમવાર, 29 નવેમ્બરથી શરૂ થવાનું છે, જેમાં ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવાના બિલ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પહેલીવાર લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 રજૂ કરશે.
સરકારે ત્રણ કાયદાને રદ કરવાનો નિર્ણય કર્યો હોવા છતાં, સંસદ સત્રમાં કૃષિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (Minimum support price – MSP) પર કાયદો બનાવવાની ખેડૂતોની માંગને લઈને હોબાળો થવાની અપેક્ષા છે. વિપક્ષી દળોએ પહેલાથી જ ખેડૂતોની માંગને સમર્થન આપ્યું છે અને આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
શાસક ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે તેમના સાંસદોને, સંસદમાં બીલ રજુ કરે તે દિવસે હાજર રહેવા વ્હીપ જારી કર્યા છે. દરમિયાન, સંસદ સત્રની પૂર્વસંધ્યાએ એટલે કે ગઈકાલ રવિવારે સર્વપક્ષીય બેઠકમાં 31 પક્ષોના 42 સાંસદોએ ભાગ લીધો હતો. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આશરે એક મહિના સુધી ચાલનારા સંસદનું શિયાળુ સત્રમાં 26 બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલશે.
કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 રજૂ કરશે. બિલ સર્વસંમતિથી પસાર થવાની સંભાવના છે અને તે જ દિવસે રાજ્યસભામાં પણ આ બીલ રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, કોંગ્રેસે કૃષિપાક એમએસપી પર કાયદો લાવવા અને ત્રણ કૃષિ કાયદાઓ સામે વર્ષભરના વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતો માટે શોક પ્રસ્તાવ રજુ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ