Omicron BF.7 in India: કોરોના મહામારીએ ભારત સહિત આખા દેશમાં તબાહી મચાવી હતી. કોરોનાના કારણે કરોડો લોકો સંક્રમિત થયા, લાખો લોકોના મોત થયા, અનેક પરિવારો વેરવિખેર થયા અને દુનિયાભરની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થયુ. કોરોના સામે રક્ષણ માટે નિયમો અને રસીકરણનો સહારો લઈને આપણે આ મહામારી બહાર આવવામાં અમુક અંશે સફર થયા છે પણ હવે દેશમાં કોરોનાની નવી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા છે. તહેવારોના સમયમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. વધી રહેલા કેસોની ગતિને અટકાવવા માટે કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની (Corona variant) એન્ટ્રી થઈ છે.
રિપોર્ટ અનુસાર કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના નવા સબ-વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી થઈ છે. ઓમિક્રોનના નવા સબ-વેરિએન્ટનું નામ BA.5.1.7 છે. ભારતમાં BF.7ના સબ-વેરિએન્ટના પહેલા કેસની જાણકારી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચે આપી છે. ચીનમાં કોરોના કેસના વધવાનું કારણ BA.5.1.7 અને BF.7 છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેનમાં પણ આ નવા વેરિએન્ટના કેસ સામે આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના નવા સબ વેરિએન્ટ BF.7 માટે સ્વાસ્થ્ય મંત્રાલયે એલર્ટ જાહેર કર્યુ છે. આજે મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ Insacog, DBT, NTAGIના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના આ ઝડપથી ફેલાતા સબ વેરિએન્ટ BF.7ને કારણે ભારતના લોકોને તહેવારો પર સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપી છે. એક્સપર્ટ અનુસાર આ વેરિએન્ટ 3-4 અઠવાડિયામાં આખા દેશમાં ફેલાય શકે છે.