અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને તામિલનાડુમાં ઈરોડ ઈસ્ટ પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ડીએમકે ગઠબંધનના ઉમેદવાર ઈવીકેએસ એલંગોવનને ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે શા માટે કોંગ્રેસ પાસેથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટની અપેક્ષા ન રાખવી જોઈએ. કમલ હાસને કહ્યું કે, તેમની પાર્ટી મક્કલ નીધી મૈયમ (MNM) ઈરોડ ઈસ્ટ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપશે.
મક્કલ નીધી મૈયમના વડા કમલ હાસનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં કોંગ્રેસ સાંસદની સીટ મેળવવાની અપેક્ષા રાખે છે. તેમણે જવાબમાં કહ્યું કે, હું કેમ ન કરી શકું? રાષ્ટ્રીય હિતમાં અમે આ નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે ગયા મહિને ડિસેમ્બરમાં દિલ્હીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં કમલ હાસન રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.
એલંગોવન 23 જાન્યુઆરીએ કમલ હાસનને તેમની અલવરપેટ ઓફિસમાં મળ્યા હતા અને પેટાચૂંટણી માટે તેમનું સમર્થન માંગ્યું હતું. MNMના કાર્યકારી સભ્યો સાથે ચર્ચા કર્યા પછી, કમલ હાસને કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો. કમલ હાસને મીડિયાને સંબોધતા કહ્યું, પાર્ટીના કારોબારી સભ્યોએ સર્વસંમતિથી ઈરોડ પૂર્વ પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ડીએમકે ગઠબંધનના ઉમેદવારને સમર્થન આપવાનું નક્કી કર્યું.
2024 માં આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ માટે આ સમર્થન ચાલુ રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, MNM વડાએ કહ્યું, આ નિર્ણય વર્તમાન સ્થિતિ માટે અને ઈરોડ ઈસ્ટ પેટાચૂંટણી માટે છે. 2024ની સામાન્ય ચૂંટણી વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે કારણ કે તેમાં હજુ એક વર્ષ બાકી છે.
કોંગ્રેસે રવિવારે તમિલનાડુ કોંગ્રેસ કમિટીના ભૂતપૂર્વ વડા EVKS એલંગોવનને ઈરોડ (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારની 27 ફેબ્રુઆરીએ યોજાનારી પેટાચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ ઘોષણા આશ્ચર્યજનક હતી કારણ કે એલંગોવનને એક દિવસ પહેલા શનિવારે કહ્યું હતું કે તેઓ પેટાચૂંટણી લડશે નહીં, પરંતુ તેમના પુત્ર સંજય સંપત માટે ટિકિટ માંગી છે.
એલંગોવન 2004માં લોકસભામાં ચૂંટાયા હતા અને ત્યારબાદ કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ 2014 થી 2017 સુધી TNCC ના પ્રમુખ હતા. અગાઉ તેઓ 1985માં સત્યમંગલમ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટાયા હતા. તેમણે 2019માં થેની મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ AIADMKના પી રવિન્દ્રનાથ કુમાર સામે ચૂંટણી હારી ગયા હતા.
Published On - 1:33 pm, Thu, 26 January 23