બે મહાન નેતાઓ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ ભારતમાં દર વર્ષે 2જી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની આ 118મી જન્મજયંતિ (Lal Bahadur Shastri Birth Anniversary)છે. દેશની આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાની આકાંક્ષાઓમાં તેમના યોગદાન માટે શાસ્ત્રીજીને ઉત્કૃષ્ટ રાજનેતા તરીકે ગણવામાં આવે છે. તેઓ અસાધારણ ઈચ્છાશક્તિ ધરાવતા તેજસ્વી વિચારક હતા.
જેમણે પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓને ન માત્ર ખૂબ જ સરળતાથી પાર કરી પરંતુ બધા માટે પ્રેરણા બન્યા છે. બાળપણમાં દિવસમાં બે વાર ગંગા તરીને પાર કરવાની હોય કે પછી વડાપ્રધાન બન્યા પછી પણ પૈસાની અછત હોય. ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ મુગલસરાઈ (હાલ ઉત્તર પ્રદેશ)માં થયો હતો. તેમના પિતાનું નામ શારદા પ્રસાદ શ્રીવાસ્તવ અને માતાનું નામ રામદુલારી દેવી હતું. તેમનું નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ હતું. નાનપણમાં તેમને પ્રેમથી નન્હે કહીને બોલાવતા. કારણ કે તેઓ જાતિ પ્રથાના વિરોધી હતા, તેમણે તેમના નામમાંથી અટક કાઢી નાખી હતી.
લાલ બહાદુર શાસ્ત્રીએ પ્રારંભિક શિક્ષણ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માત્ર દોઢ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં તેમને કાકા પાસે મોકલી દેવામાં આવ્યા. જ્યારે શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેમને દરરોજ માઇલો ચાલીને ગંગા નદી પાર કરવી પડતી. એવું કહેવાય છે કે તેઓ શાળાએ પહોંચવા માટે દરરોજ બે વખત ગંગા નદીમાં તરીને આવતા હતા. જેથી તે ભીના ન થાય તે માટે માથા પર ચોપડીઓ બાંધી દેતા. કારણ કે તેમની પાસે એટલા પૈસા નહોતા કે તેઓ દરરોજ બોટમાં નદી પાર કરી શકે.
1925માં વારાણસીની કાશી વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા બાદ તેમને “શાસ્ત્રી”નું બિરુદ આપવામાં આવ્યું હતું. ‘શાસ્ત્રી’ શબ્દ ‘વિદ્વાન’ અથવા શાસ્ત્રોમાં સારી રીતે વાકેફ હોય તેવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.
1946માં કોંગ્રેસે સરકાર બનાવી તે પછી, શાસનમાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે લાયક ઉમેદવારોની શોધ કરવામાં આવી રહી હતી. ત્યારે પાર્ટીએ તેમને ઉત્તર પ્રદેશ રાજ્યમાં સંસદીય સચિવ તરીકે નિયુક્ત કર્યા, જ્યારે તેઓ 15 ઓગસ્ટ 1947ના રોજ તેમને પોલીસ અને પરિવહન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઓફિસમાં તેમના સમય દરમિયાન, પ્રથમ મહિલા બસ કંડક્ટરની ભરતી કરવામાં આવી હતી. 1951માં નવી દિલ્હી આવ્યા અને કેન્દ્રીય કેબિનેટમાં અનેક પોર્ટફોલિયો સંભાળ્યા. તેઓ રેલ્વે પ્રધાન, પરિવહન અને સંચાર પ્રધાન, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન, ગૃહ પ્રધાન અને પછી ભારતના બીજા વડાપ્રધાન હતા.
એવું માનવામાં આવે છે કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા ત્યારે તેમના પરિવારે તેમને કાર ખરીદવા માટે કહ્યું હતું. તેમને ફિયાટ કાર માટે 12,000 રૂપિયા જોઈતા હતા પરંતુ તે સમયે પણ તેમની પાસે માત્ર 7000 રૂપિયા હતા. તેમણે કાર ખરીદવા માટે પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી હતી. તેમની કાર હવે નવી દિલ્હીમાં શાસ્ત્રી મેમોરિયલમાં રાખવામાં આવી છે.
ભારતે વર્ષ 1965 અને 1966માં દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે શાસ્ત્રીજીએ તમામ દેશવાસીઓને દુષ્કાળમાંથી બહાર કાઢવા માટે શ્વેત ક્રાંતિ દ્વારા લોકોને ઘણી મદદ કરી હતી. તેમણે તમામ પરિવારને ઘરે ચોખા અને ઘઉં ઉગાડવા વિનંતી કરી. આ ચળવળ લાલ બહાદુર શાસ્ત્રીએ પોતે ચોખા અને ઘઉં ઉગાડીને શરૂ કરી હતી.
પંડિત જવાહરલાલ નેહરુના મૃત્યુ પછી, લાલ બહાદુર શાસ્ત્રી 09 જૂન 1964ના રોજ ભારતના બીજા વડાપ્રધાન બન્યા. તેમનો કાર્યકાળ 11 જાન્યુઆરી 1966 સુધી ચાલ્યો હતો. તાશ્કંદ, ઉઝબેકિસ્તાનમાં આ જ તારીખે તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. તે સમયે શાસ્ત્રીજી ભારત-પાકિસ્તાન યુદ્ધ પછીની સ્થિતિનું સમાધાન કરવા તાશ્કંદમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાનને મળવા ગયા હતા. મીટિંગના થોડા કલાકો પછી તેમનું અવસાન થયું. આપને જાણીને નવાઈ લાગશે કે સંસદીય પુસ્તકાલયમાં પણ તેમના મૃત્યુની તપાસ કરવા બેઠેલી રાજનારાયણ સમિતિનો કોઈ રેકોર્ડ નથી.
Published On - 10:01 am, Sun, 2 October 22