
કોર 2 GOC અને આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ, ભારતે કરેલા ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ફક્ત એક નાનો નમૂનો બતાવવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે કે ‘ઓપરેશન સિંદૂર’ હજુ પણ ચાલુ જ છે અને આ વખતે પાકિસ્તાનને એવો ઘા મારીશું કે પાકિસ્તાનની આવનારી પેઢીઓની પેઢી તેને યાદ કરતી રહેશે.
કોર 2 GOC અને આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે જણાવ્યું કે, પહેલગામ આતંકી હુમલા બાદ, ભારતીય સૈન્યે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતુ. જેમાં પાકિસ્તાનના એરબેઝ, એરપોર્ટ અને પાકિસ્તાન આર્મીની દ્રષ્ટિએ અતિ મહત્વના એવા સ્થળોને હવાઈ હુમલાથી નિશાન બનાવીને મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનને ખેદાનમેદાન કરવાનો સંદેશ આપી દીધો હતો. પાકિસ્તાન પણ સારી રીતે સમજી ચૂક્યું હશે કે 2025 માં ભારતીય સૈન્યે માત્ર એક નાનો નમૂનો જ દર્શાવ્યો છે. જો પૂરી તાકાતથી હુમલો કર્યો હોત તો તેમની દશા અને દીશા શું થઈ હોત ? કોર 2 GOC અને આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે દાવો કર્યો હતો કે ચાર દિવસમાં, ભારતે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું અને યુદ્ધ અટકાવવા માટે પાકિસ્તાનને આપણો સીધો સંપર્ક કરીને આજીજી કરવી પડી હતી.
મીડિયા અહેવાલ મુજબ, લેફ્ટનન્ટ જનરલ પુષ્કરે જણાવ્યું હતું કે, પાકિસ્તાનને હવે જવાબ આપવા માટે આ વખતે ભારતીય સેનાની તૈયારીઓ મોટા પાયે ચાલી રહી છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, દુશ્મનનું વર્તન, તેણે કરેલા હુમલાનું પ્રમાણ અને તેનાથી ભારતને થયેલા નુકસાનની સ્થિતિ જ, ભારતીય સૈન્યના હુમલાના કદ અને પ્રમાણને નક્કી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પહેલગામના બૈસરનમા ધર્મ પુછી પુછીને પ્રવાસીઓ પર મોટો હુમલો કર્યો, જેમાં ઘણા ભારતીય પ્રવાસીઓ માર્યા ગયા. ભારતીય સેનાએ આ કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ “ઓપરેશન સિંદૂર” દ્વારા આપ્યો હતો. ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો હતો.
ભારતે હવાઈ અને જમીન બંને મોરચેથી ઓપરેશન સિંદૂરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્રણ દિવસ ચાલેલા આ સંઘર્ષમાં ભારતીય વાયુસેના અને ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું. પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું. ભારત સરકારે સતત કહ્યું છે કે, “ઓપરેશન સિંદૂર” સમાપ્ત થયું નથી, ચાલુ જ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો પાકિસ્તાન કોઈ પણ સ્વરૂપે હુમલો કરશે, તો ભારત એકમાત્ર સત્તા ધરાવશે કે કેવી રીતે અને ક્યારે જવાબ આપવો.