વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં (Gnanawapi Masjid Case) આજે શુક્રવારે જિલ્લા કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગની કાર્બન ડેટિંગ પર કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. અરજદાર હિન્દુ પક્ષ દ્વારા કાર્બન ડેટિંગની માંગણી કરવામાં આવી હતી, જેથી મસ્જિદમાં મળેલું શિવલિંગ કેટલું પ્રાચીન છે તે જાણી શકાય. પાંચમાંથી ચાર હિન્દુ અરજદારોએ વારાણસીની સ્થાનિક કોર્ટ સમક્ષ શિવલિંગની આકૃતિની કાર્બન-ડેટિંગની માંગ કરી હતી. કોર્ટના આદેશ પર કરવામાં આવેલા વીડિયોગ્રાફી સર્વે દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદની અંદરથી આ પ્રતિમા મળી આવી હતી. હિન્દુ પક્ષ તેને શિવલિંગને માને છે.
કાર્બન ડેટિંગ એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે પુરાતત્વમાં કોઈ વસ્તુ કેટલી જૂની છે તે જાણવા માટે કરવામાં આવે છે. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કાર્બન ડેટિંગ કરાવવા માટેની અરજીનો વિરોધ કર્યો છે. ગત સુનાવણીમાં કોર્ટે કાર્બન ડેટિંગની અરજી સુનાવણી માટે સ્વીકારી હતી. હિન્દુ પક્ષે પણ પોતાની જીત જાહેર કરી હતી. જો કે કોર્ટે તેનો ચુકાદો આપ્યો નથી.
વારાણસી કોર્ટે અગાઉ આ મામલે મુસ્લિમ પક્ષની દલીલો સાંભળી હતી. હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ જૈને ત્યારે કહ્યું હતું કે, “મુસ્લિમ પક્ષ કહે છે કે શિવલિંગ જેવી પ્રતિમા મિલકતનો ભાગ નથી અને તેની કાર્બન ડેટિંગ કરી શકાતી નથી.” અમે આ બંને મુદ્દાઓ પર અમારી વાત કરી છે. કોર્ટ તેનો આખરી નિર્ણય કરશે.
આ મહત્વપૂર્ણ સુનાવણી પહેલા RSS સાથે જોડાયેલા ઈન્દ્રેશ કુમારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે મોડું થશે પરંતુ સત્ય બહાર આવશે.