Ujjain: પ્રસિદ્ધ કથાવાચક મોરારી બાપુએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કરી. મહાકાલ પર જળાભિષેક કર્યો. બાબાની આરતી ઉતારી. જો કે મહાકાલના ગર્ભગૃહમાં મોરારી બાપુએ પહેરેલા વસ્ત્રોને લઈ વિવાદ વકર્યો. મોરારી બાપુએ મહાકાલની પૂજા-આરતી સમયે માથા પર સફેદ કપડું બાંધી રાખ્યું હતું. તો ધોતીના બદલે લૂંગી પહેરી હતી.
મહાકાલના ગર્ભગૃહમાં પૂજાની એક આગવી પદ્ધતિ છે. જેમાં સનાતન ધર્મની સંસ્કૃતિ અને પરંપરાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ મોરારી બાપુએ ગર્ભગૃહમાં માથે કપડું બાંધી રાખ્યું હતું. તેમજ ધોતી પણ પહેરી ન હતી. મોરારિ બાપુના વાયરલ થયેલા વીડિયોના આધારે હવે વિવાદ વકર્યો છે.
અખિલ ભારતીય પૂજારી મહાસંઘે મોરારી બાપુના ગર્ભગૃહના વસ્ત્ર પરિધાનને લઈ સખત વાંધો ઉઠાવ્યો. આ સમગ્ર પ્રકરણમાં મોરારી બાપુની સાથે જ મંદિરના પૂજારીઓ અને અન્ય ટ્રસ્ટીઓની ભૂમિકાને લઈને પણ ખુલીને નારાજગી વ્યક્ત કરી. જો મોરારી બાપુને જાણ ન હોય તો તેમની સાથે પૂજા કરાવી રહેલા અડધો ડઝન પૂજારીઓએ કેમ બાપુને પહેલા જ આવું કરતા ન અટકાવ્યા તે મોટો સવાલ છે.
આ પણ વાંચો : “12 જ્યોતિર્લિંગ રામકથા” મોરારીબાપુની રામકથા આજે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધામે પહોંચી, જુઓ Video
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો