ત્રિપુરામાં, માણિક સાહાની આગેવાની હેઠળની મંત્રી પરિષદે આજે વિવેકાનંદ મેદાન ખાતે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. માણિક સાહા સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ નેતાઓ ભાજપની આગેવાની હેઠળની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ત્રિપુરા પહોંચી ગયા હતા.
છેલ્લા ત્રણ દાયકામાં આ પહેલીવાર છે જ્યારે ત્રિપુરામાં સરકારે ફરી સત્તા વાપસી કરી છે. ભાજપના ત્રિપુરા એકમના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમને આશા છે કે બીજી વખત સત્તામાં આવેલી ભાજપ સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.
1988માં, કોંગ્રેસ-TUJSએ ડાબેરીઓને હરાવીને ત્રિપુરામાં સરકાર બનાવી, પરંતુ આ ગઠબંધન 1993માં ડાબેરીઓ સામે હારી ગયું. 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં, ભાજપે 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી, ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ને એક બેઠક મળી હતી.
BJP's Prof.(Dr.) Manik Saha takes oath as the Chief Minister of Tripura, in Agartala
(Pic: DD) pic.twitter.com/g4zwBfbkWj
— ANI (@ANI) March 8, 2023
આ પહેલા સોમવારે ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય દળના નેતા માટે માણિક સાહાના નામનો સર્વસંમતિથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બેઠક બાદ સાહાએ ટ્વીટ કર્યું હતું કે, “મને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવા બદલ હું દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.” પીએમ નરેન્દ્ર મોદી જીના માર્ગદર્શન હેઠળ, અમે ‘ઉન્નત ત્રિપુરા, શ્રેષ્ઠ ત્રિપુરા’ બનાવવા અને તમામ વર્ગના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.
માણિક સાહાએ શુક્રવારે અગરતલાના રાજભવનમાં રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજ્યપાલે તેમને નવી સરકાર શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી સીએમ તરીકે ચાલુ રહેવા જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સાહાએ કહ્યું હતું કે 8 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
છેલ્લી વખત શપથ ગ્રહણ સમારોહ આસામ રાઈફલ્સ ગ્રાઉન્ડમાં યોજાયો હતો અને આ વખતે તે સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાશે, એમ સાહાએ પત્રકારોને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે રાજ્યની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથ ગ્રહણ સમારોહમાં પાર્ટીના અન્ય નેતાઓ સાથે હાજર રહેશે. તેમણે કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.