કોલકાતા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી જતાં 9 લોકોના મોત
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની બાજુમાં દક્ષિણ 24 પરગણાના બરુઇપુર બકુલતલા પાસે મોટો માર્ગ અકસ્માત થયો હતો. પીકઅપ વાન પલટી જવાને કારણે 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની બાજુમાં દક્ષિણ 24 પરગણાના બરુઇપુર (South 24 Paraganas) બકુલતલા પાસે મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં પીકઅપ વાન પલટી જવાને કારણે 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપને કારણે પીકઅપ વાને કાબૂ ગુમાવ્યો હતો અને નજીકની કેનાલમાં ખાબકી હતી. આ વાનમાં 12થી 15 લોકો સવાર હતા.
સ્થાનિક લોકો, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની મદદથી 9 લોકોના મૃતદેહ બહાર કાવામાં આવ્યા હતા. કેટલાક અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને કોલકાતાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી ઘણા લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનનો કબજો મેળવ્યો છે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને લોકોના જીવને જોખમમાં નાખવા બદલ કલમ 304A અને બિનજામીનપાત્ર કલમ 279 હેઠળ ગુનો નોંધીને ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે, અકસ્માત બાદ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાદમાં એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. 5 ઇજાગ્રસ્તોને બરુઇપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તમામને સોમવારે સવારે રજા આપવામાં આવી હતી. બાકીના 7 લોકોને કોલકાતાની ચિત્તરંજન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ લોકોમાંથી એકનું મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
બીજી બાજુ પરપ્રાંતિય કામદારોથી ભરેલી બસનો સોમવારે સવારે જલપાઈગુડીના ગોશાળા મોડ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 31 પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, ચાર મહિલાઓ અને બાળકો સહિત પરપ્રાંતિય કામદારોથી ભરેલી બસ ગુવાહાટીથી કેરળ જઈ રહી હતી.