રાજસ્થાન પોલીસે ગત શનિવારે ઉદયપુર-અમદાવાદ રેલ્વે લાઇન પર ઓડા રેલ્વે બ્રિજ પર થયેલા વિસ્ફોટ કેસમાં એક કિશોર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, આ ઉપરાંત અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી આ વિસ્ફોટક મળી આવ્યું હતું. આ અંગે રાજસ્થાન પોલીસના અધિક પોલીસ મહાનિર્દેશક (ATS અને SOG) અશોક રાઠોડે જણાવ્યું હતું કે SOG એ ધૂલચંદ મીણા , પ્રકાશ મીણા અને એક 17 વર્ષના કિશોરની ઓડા બ્રિજ વિસ્ફોટના કેસમાં અટકાયત કરી છે.
તેમણે જણાવ્યું કે રેલવે અને હિન્દુસ્તાન ઝિંકે 1974-75 અને 1980માં ધુલચંદ મીણાની જમીન અધિગ્રહણ કરી હતી, જેના માટે તેમને વળતર કે નોકરી મળી ન હતી. તેમણે કહ્યું કે તે આ માટે ઘણા વર્ષોથી સતત પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ક્યાંયથી મદદ ન મળવાને કારણે તેણે ગુસ્સામાં આ ઘટનાને અંજામ આપ્યો.અધિકારીએ જણાવ્યું કે ઘટનાના દિવસે બાઇક પ્રકાશ ચલાવતો હતો અને કિશોર આરોપી તેની સાથે હતો. ટ્રેન છોડ્યા બાદ તેઓએ બંને રેલ્વે ટ્રેક પર બોમ્બના બંડલ મૂકીને આગ લગાવી દીધી હતી. તેણે જણાવ્યું કે ત્રણેય આરોપીઓએ આ વિસ્ફોટકો અંકુશ સુવાલકા નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હતા. જેને પણ પોલીસે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે રાત્રે ઉદયપુર-અમદાવાદ રેલ રૂટ બ્લાસ્ટમાં મોટી દુર્ઘટના ટળી હતી. બીજી તરફ વિસ્ફોટ બાદ રેલવેએ સોમવારે સવારથી ફરી એકવાર ટ્રેક પર ટ્રેનોનું સંચાલન શરૂ કરી દીધું હતું. જણાવી દઈએ કે આ ઘટના બાદથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA), ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)સાથે રાજસ્થાન પોલીસની ATS બ્રાન્ચ, ગુજરાત STFની ટીમો સંયુક્ત રીતે કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બ્લાસ્ટમાં કોઈ રીઢા ગુનેગારનો હાથ હોઈ શકે છે જે આતંકવાદી કે નક્સલવાદી સંગઠન સાથે સંકળાયેલો છે.
પોલીસે નોંધેલી એફઆઈઆરમાં, અનલોફુલ એક્ટીવિટીઝ પ્રિવેંશન એક્ટ (UAPA)હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસના આરોપીઓની પણ આ એક્ટ હેઠળ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ ઘટના બાદ મંગળવારે રાજસ્થાન એટીએસના એડીજી અશોક રાઠોડના નેતૃત્વમાં તપાસ ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી જ્યાં શંકાના આધારે 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. તપાસ એજન્સી 10-12 કિલોમીટરના સમગ્ર વિસ્તારની તપાસ કરી રહી છે અને આ વિસ્તારમાં લગભગ 13,000 ફોન કૉલ્સની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળની આસપાસના ગામો, ઉદયપુર શહેર, સલુમ્બર વગેરેમાં અત્યાર સુધીમાં દરોડા પાડ્યા છે અને ઘણા શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ વિસ્તારની હોટલ, ધર્મશાળાઓમાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. જાણવા મળે છે કે આ મુદ્દે સીએમ આવાસ પર ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં સીએમ ગેહલોતે રાજસ્થાનમાં એટીએસ અને એસઓજી દ્વારા તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો.
Published On - 8:34 pm, Thu, 17 November 22