ચીન પોતાની હરકતો અને સસ્તા ઉત્પાદનોને કારણે દુનિયામાં ચર્ચામાં રહે છે. તેના સસ્તા ઉત્પાદનોને કારણે દુનિયાભરના દેશોના માર્કેટ પર પ્રભાવ પડે છે. જેને કારણે અનેક દેશોએ તેના ઉત્પાદનોને તેમના દેશમાં પ્રતિબંધિત કરી છે. હાલમાં સમાચાર આવ્યા હતા કે, ભારત સરકાર સસ્તા ચાઈનાના મોબાઈલ પર ભારતમાં પ્રતિબંધ લગાવશે. આ જ પ્રતિબંધના સમાચારને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટ અનુસાર,ચાઈનાના સસ્તા સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવાનો ભારત સરકારનો કોઈ ઈરાદો નથી. આ પહેલા એવી વાત ફેલાઈ હતી કે , ભારત સરકાર (Indian government) 12,000થી ઓછી કિંમતના ચાઈનાના સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવશે. આ પગલુ ભારતમાં સ્માર્ટફોન બનાવતી કંપની માટે લેવાય છે તેવી વાત સામે આવી હતી. સોશિયલ મીડિયા પર લોકો ચાઈનાના સ્માર્ટફોન (Chinese smartphones) પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા હતા. હવે એ સ્પષ્ટ છે કે ભારતમાં ચાઈનાના સ્માર્ટફોન પર હાલ પૂરતો કોઈ પ્રતિબંધ નહીં લાગે.
ચાઈનાના સ્માર્ટફોન પર પ્રતિબંધની વાતને ભારતની સ્માર્ટફોન બનાવતી કંપનીઓ માટે સારા સમાચાર માનવામાં આવતા હતા. સસ્તા ફોન બનાવવામાં ભારતીય કંપનીઓને મુશ્કેલી આવી રહી છે. ચાઈનાના સસ્તા ફોનને કારણે ભારતીય કંપનીઓની આવક ઘટી રહી છે. તેઓ ચાઈનાના મોબાઈલ જેવા મોબાઈલ બનાવવામાં સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.
સરકારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચાઈનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ અંગે કોઈ ચર્ચા થઈ નથી. રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું છે કે ભારતમાં સસ્તા ચાઈનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના નથી. તમને જણાવી દઈએ કે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં 12,000 રૂપિયાથી પણ સસ્તા સ્માર્ટફોનમાં ચીનની ટ્રાન્ઝિશન અને રિયાલિટી જેવી કંપનીઓનો દબદબો છે. આવનારા સમયમાં જો ચાઈના કોઈ ભારત વિરોધી કામ કરશે તો આવા પ્રતિબંધો લાગી પણ શકે છે.
હાલમાં એ વાત સામે આવી છે કે ચાઈનીઝ સ્માર્ટફોન પર કોઈ બિનસત્તાવાર પ્રતિબંધ નથી. હજુ સુધી આ મામલે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તાજેતરમાં એવું જોવામાં આવ્યું છે કે સરકારી એજન્સીઓએ કરચોરી અને મની લોન્ડરિંગના મામલામાં ચીની સ્માર્ટફોન ઉત્પાદકો પર દરોડા પાડ્યા હતા. જેમાં Xiaomi, Vivo, Oppo, Huawei જેવી કંપનીઓ સામેલ હતી.